પૂલ હૈ કિ માનતા નહીં !

લો, વધુ એક પૂલ તૂટી પડ્યો ! બિચારા અંગ્રેજો મુરખા હતા કે હાવરા બ્રિજ જેવા સો-સો વરસ લગી ટકી રહે એવા પૂલો બાંધતા હતા !

આજે રિ-સાયકલીંગનો જમાનો એટલો બધો આગળ વધી ગયો છે કે આપણે અમદાવાદમાં હાટકેશ્વર જેવા પૂલો બાંધી દીધા છે, જેના ઉદ્‌ઘાટન પહેલાં જ એને તોડીને ‘રિ-સાઈકલ’ કરવાનો છે !

પણ આ તો કંઈ નથી. હવે તો એવો સમય આવશે કે…

*** 

મંત્રીશ્રી નવા બંધાયેલા પૂલનું લોકાર્પણ કરવા માટે ત્યાં નાળિયેર ફોડવા જતા હશે ત્યાં જ પૂલનો કોન્ટ્રાક્ટર એમને રોકતાં કહેશે :
‘સાહેબ, નાળિયેર ના ફોડા ! ક્યાંક પૂલ તૂટી પડ્યો તો તમારો જ વાંક આવશે !’

*** 

પૂલ ઉપર તમે દાખલ થાવ ત્યાં ત્રણ પાટિયાં મારેલાં હશે :

‘દુર્ઘટના ઝોન’

‘સાવધાન યહ પૂલ ભાજપ સરકાર દ્વારા બનાયા ગયા હૈ !’

‘બાદ મેં મત કહના કિ બોલા નહીં થા !’

*** 

એ તો ઠીક, આજકાલ જે રીતે ટોલ-ટેક્સ પાસે નાનાં નાનાં ટેબલ લઈને ‘ફાસ્ટેગ’વાળા બેઠાં હોય છે એ જ રીતે આવનારા દિવસોમાં એવાં નાનાં નાનાં ટેબલો પર આવા બનેરો લાગ્યાં હશે :
‘આગળ પૂલ છે એ પહેલાં વીમો કરાવી લો..’

‘જીવનવીમો પ્લસ વાહન વીમો… માત્ર ૨૦૦ રૂપિયામાં બે લાખનો કમ્બાઈન વીમો ઉતરાવી લો ! (વેલીડીટી : પૂલ પાર કરવા સુધી જ.’)

‘એલઆઈસી પૂલ-બીમા : પૂલ કે સાથ હી, પૂલ કે બાદ નહીં !’

*** 

પણ હા, એક દિવસે એક કોન્ટ્રાક્ટરનું જાહેર સન્માન થતું હશે !
સ્ટેજ ઉપર મોટાં મોટાં બેનરો લાગ્યાં હશે ‘છેલ્લાં ૨૦ વરસમાં અમે બાંધેલા ૫૦ પૂલોમાંથી એક પણ પૂલ તૂટ્યો નથી !’

એક પત્રકારને નવાઈ લાગશે ‘સાલું, આ તો ગજબ છે !’

ત્યારે બાજુમાં ઊભેલો મંત્રીશ્રીનો ચમચો કહેશે : ‘એમાં ગજબ શું ? પચાસે પચાસ પૂલ ‘ઓન પેપર’ બનેલા છે !’

***

- મન્નુ શેખચલ્લી

Comments