ભારત અને પાકિસ્તાનના સંબધો વિશે જેટલા પ્રશ્નો છે એના કરતાં આજકાલ બોલીવૂડ અને પાકિસ્તાનના સંબંધો વિશે વધારે પ્રશ્નો છે ! જુઓને…
***
પહેલગામ હુમલાથી માંડીને છેક શસ્ત્રવિરામ થયો ત્યાં સુધી અમિતાભ બચ્ચને દરરોજ માત્ર ટ્વિટ નંબર લખીને કોરી જગ્યા કેમ છોડી રાખી હતી ?
- કેમકે બચ્ચન સાહેબ સલમાન, શાહરુખ, આમિર વગેરેની ‘મિમિક્રી’ કરી રહ્યા હતા !
***
‘સિતારે જમીં પર’ હવે પાકિસ્તાનમાં કેમ રિલીઝ નહીં થાય ?
- કેમ કે પાકિસ્તાને ઓલરેડી ધોળે દિવસે તારા જોઈ લીધા છે !
***
બોલીવૂડના અમુક ફિલ્મ સ્ટારોએ આજ દિન સુધી કદી પણ પાકિસ્તાનની કોઈ ટીકા કેમ નથી કરી ? શું તેઓ દેશભક્ત નથી?
- તેઓ દેશભક્ત જ છે ! ફરક એટલો જ કે એ ‘દેશ’ અલગ છે !
***
જાવેદ અખ્તર કેમ આજકાલ ધડાધડ પાકિસ્તાન વિરોધી વાતો કરી રહ્યા છે ?
- કદાચ એમને ઔવેસીની બાયોપિકમાં મેઈન રોલ ભજવવાની ઓફર થઈ છે ! એટલે સંવાદોની પ્રેક્ટિસ કરી રહ્યા છે !
***
પાકિસ્તાનમાં ‘ગદર-ટુ’નાં પોસ્ટરો શા માટે બાળવામાં આવ્યા ?
- પબ્લિક એ વાતે ગુસ્સામાં છે કે ‘ઓલરેડી અહીં પાણીનાં ફાંફાં છે… ઉપરથી સની દેઉલ અમારા હેન્ડ પંપ પણ ઉખાડીને લઈ જશે ?’
***
‘કાન’ ફિલ્મ ફેસ્ટિવલમાં પાકિસ્તાની કલાકારોને કેમ નથી બોલાવતા ?
- કાન ફેસ્ટિવલવાળા ‘નાક’ ધરાવતા દેશોને જ આમંત્રણ આપે છે !
***
પાકિસ્તાનના વખાણ કરતા યુ-ટ્યુબરો અને પાકિસ્તાનની ટીકા નહીં કરનારા ફિલ્મ સ્ટારોમાં ફરક શું છે ?
- એ જ કે ફિલ્મ સ્ટારોને અબજો રૂપિયા ભારતના જ લોકો આપી દે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment