દરિયા કિનારે આવનારા વાવાઝોડાની ચેતવણી નાવિકોને આપવા માટે કહે છે કે 11 જાતના સિગ્નલો હોય છે. પરંતુ આપણા ઘરમાં જ જો વાવાઝોડું આકાર લઈ રહ્યું હોય તો એનાં સિગ્નલો શી રીતે પારખવાં ? લખી રાખો…
***
સિગ્નલ નંબર (1)
બોલચાલ અચાનક બંધ થઈ જશે. તોફાન પહેલાંની વિચિત્ર શાંતિ… સંભવિત વાવાઝોડાની પહેલી નિશાની.
***
સિગ્નલ નંબર (2)
અચાનક રસોડામાંથી કોઈ વાસણ પછડાવાનો અવાજ સંભળાવો… સંભવિત વાવોઝોડાની બીજી નિશાની.
***
સિગ્નલ નંબર (3)
ચહેરો ફૂલેલો દેખાવો, આંખોની ભ્રુકુટી તંગ સ્થિતિમાં, ચાલવાની, ઉઠવાની-બેસવાની તથા રસોઈ કે કચરાં-પોતાં વગેરે ક્રિયાની ઝડપ અસામાન્ય રીતે વધી જવી… સંભવિત વાવાઝોડું સક્રિય થવાની ગંભીર નિશાની.
***
સિગ્નલ નંબર (4)
દૂધનું ઉભરાઈ જવું, દાળનો વઘાર બળી જવો, શાકમાં મીઠું વધારે પડી જવું, રોટલીઓ બળેલી-દાઝેલી ઉતરવી… વગેરે સંભવિત વાવાઝોડું સક્રિય થઈ ચૂક્યું હોવાની પહેલી ‘ચેતવણી’ !
***
સિગ્નલ નંબર (5)
સાવ સાદા છતાં ખતરનાક લાગતા સવાલોની શરૂઆત : ‘કાલે તમે ક્યાં હતા ?’ ‘આજે કઈ તારીખ છે ?’ ‘મેં તમને શું કહ્યું હતું ?’ અથવા ઇવન સિમ્પલ ટોનમાં કહેવું કે ‘સાંભળો, હું શું કહું છું…’ આ બધી જ વાવાઝોડા પહેલાની પ્રાથમિક સાયરનો સમજવી.
***
સિગ્નલ નંબર (6)
અચાનક વિસ્ફોટ !! જેમાં ખોટાં વખાણ હોય : ‘ના ના, તમે તો બહુ સમજદાર છો ને !’ અથવા પોતાના ગુનાની ખોટી કબૂલાત હોય ‘ના ના, હું જ મુરખ છું એમ કહો ને ?’… આ સિગ્નલો પછી ખતરો બે કલાકથી લઈને બે દિવસ સુધી ‘ઓન’ રહી શકે છે. બચવાના હવે કોઈ ઉપાયો નથી.
***
સિગ્નલ નંબર (7)
આંસુઓનો છૂટોછવાયો અથવા ધોધમાર વરસાદ ! આ છેલ્લું સિગ્નલ છે. આના પછી વાવાઝોડું શમી જશે કે બમણી તાકાત સાથે ફરી ત્રાટકશે તે કોઈ પણ નિષ્ણાત કહી શકતા નથી.
ઉપાય માત્ર એક જ છે... આ સાતેય સિગ્નલના ખતરામાંથી બચવા માટે જેટલી જલ્દી ‘સોરી’ કહી દેશો તેટલું ઓછું નુકસાન થવાની સંભાવના હોય છે.
(જનહિતમાં જારી)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment