બે હજારની નોટો પાછી ખેંચવાની જાહેરાત ભલે RBIએ કરી હોય પણ સૌ જાણે છે કે આ તો સાહેબનો જ માસ્ટર સ્ટ્રોક છે !
સાહેબના ચાહકોના હિસાબે તો આના કારણે શુંનું શું થઈ જવાનું છે ! જુઓ…
***
સૌથી પહેલાં તો આતંકવાદીઓની કમર તૂટી જવાની છે ! કેમકે એમની ભાંગફોડિયા પ્રવૃત્તિ માટે પૈસા તો વિદેશોમાંથી ‘કેશ’માં જ આવતા હતા ને ! (એ પણ ભારતીય કરન્સીમાં !)
***
ત્યાર બાદ દેશની અંદર જે દેશદ્રોહીઓ બેઠા છે એમની હવા ટાઈટ થઈ જવાની ! કેમકે ધરણાં, વિરોધ, રેલી, તોડફોડ વગેરે માટે સૌને બબ્બે હજારની નોટો જ વહેંચાતી હતી ને ?
(500ની નોટોવાળા વિડીયો તો ફેક હતા.)
***
બ્લેક-મની સંઘરનારા તો બિચારા કોઠીમાં મોં ઘાલીને રોવાના ! કેમકે 30 સપ્ટેમ્બર તો સમજો ને, આજ, કાલ- પરમદિવસે જ આવી જશે ને ?
એટલા સમયમાં એમની કેશ એડજસ્ટ ક્યાંથી થવાની હતી ? (2016ની તાલીમ તો ભૂલાઈ જ ગઈ હોય ને !)
***
ED અને CBIનું તો કામ હવે સાવ સહેલું થઈ ગયું ! દરોડા પાડવાની જરૂર જ ના રહી ! એમના ઓફિસરો બેન્કની બહાર ટાંપીને બેસી રહેશે કે રોજેરોજ કોણ આવે છે બે હજારની દસ-દસ નોટો જમા કરાવવા !
***
વિરોધપક્ષોનો તો બૂચ વાગી ગયો ને ! કેમ કે ભાજપના નેતાઓ પાસે તો માંડ 500-500ની નોટોનો જથ્થો હોય. (વળી નોટો પણ દૂધે ધોયેલી હોય !)
***
અને હા, ગુલાબી નોટોમાં જે પેલી ‘ચિપ’ બેસાડેલી હતી તેના વડે લાખો નોટોની જે સિક્રેટ ઇન્ફરમેશન ભેગી થઈ છે તેનું એનાલિસિસ હવે RBI આવનારાં સાત વરસો સુધી કર્યા જ કરશે !
- અને એ પછી નવો માસ્ટર સ્ટ્રોક…
....નોટો ઉપર સાહેબનો ફોટો હશે ! એ જાતે જ જાસૂસી કરશે ! ઢેન્ટેણેએંએન !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment