અવળચંડા ઓરીજીનલ વિચારો !

અમારું દિમાગ અવળચંડુ છે એ વાતમાં તો કોઈ શક નથી પરંતુ રહી રહીને અમને એમાં બહુ ‘ઓરીજીનલ અવળચંડા’ વિચારો આવતા હોય છે ! જુઓ નમૂના…

***

અત્યારે હું જે સમય બચાવી રહ્યો છું, એ મને ‘વાપરવા’ ક્યારે મળશે ?

***

અંતરાત્મા એ ચીજ નથી જે તમને ખોટું કરતાં રોકે છે… હકીકતમાં તો એ તમને ‘મજા’ કરતાં રોકે છે !

***

હે ભગવાન ! તું મને ‘બીજો’ કેમ નથી બનાવી દેતો ? કેમકે દુનિયામાં સૌ કહે છે કે ‘બીજાઓને’ મદદ કરો !

***

બસ-સ્ટેશન એ જગ્યા છે જ્યાં બસ રોકાય છે. રેલ્વે-સ્ટેશન એ જગ્યા છે જ્યાં રેલગાડી રોકાય છે. એ જ રીતે મારું ટેબલ ‘વર્ક-સ્ટેશન’ છે… જ્યાં…

હવે વધારે શું કહું, યાર ?

***

ધરતી ઉપર જીવવું વધુ ને વધુ મોંઘું થતું જાય છે એ વાત તો સાચી પણ બોસ, એમાં દર વરસે સૂર્યની આસપાસ એક ‘ફ્રી ટ્રીપ’ પણ મળે છે !

... આ તો જસ્ટ એક વિચાર આવ્યો, પૈસા ક્યાં માગ્યા છે ?

***

ધ્યાનથી વાંચો :

(1) નીચેનું લખેલું વાક્ય સાચું છે.

(2) ઉપર લખેલું વાક્ય ખોટું છે.

બસ, આટલું જ કન્ફ્યુઝન  છે ! બાકી તો…

***

આ પણ ધ્યાનથી વાંચો :

શું અણધારી સફળતાની આશા કરવાથી અણધારી સફળતા ધારેલી સફળતા નથી બની જતી ? અને ધારેલી સફળતા જ્યારે અચાનક અણધારી રીતે સફળ થઈ જાય ત્યારે એને ‘અણધારી’ સફળતા કહેવાય કે ‘ધારેલી અણધારી’ સફળતા કહેવાય ?

***

છેલ્લે એક જ સવાલ થાય છે કે…

જે જ્યોતિષીઓ હજી ગરીબ છે શું એમને એમના પોતાના ભવિષ્યની ખબર હતી ? અને જો ખબર હતી તો ઝખ મરાવવા પોતે જ્યોતિષી બન્યા ?

- બોલો !

***

- મન્નુ શેખચલ્લી

Comments