કહેવતોનાં 'અનર્થ-ઘટન' !

ખુદ ગુજરાત સરકારે આંકડા જાહેર કર્યા છે કે રાજ્યમાં માસ્ક વિના ફરતા 23 લાખ લોકોને દંડ કરીને સરકારે 114 કરોડ રૂપિયા  ભેગા કર્યા છે !

આ હિસાબે જો પેલા સ્ટેડિયમ ઉપર છાપો માર્યો હોય તો તો એક જ ઝાટકે 6-6 કરોડ રૂપિયા ખંખેરી લીધા હોત !

પણ ના, સ્ટેડિયમમાં માસ્ક ના પહેરો તો કંઈ નહીં અને કારમાં એકલા બેઠા હો અને માસ્ક ના પહેર્યું હોય તો લાવો 1000 રૂપિયા !

ચૂંટણી વખતે પણ એવી જ ભીડો ભેગી થઈ. છતાં દંડ કોને થતો રહ્યો ? લગનમાં લિમિટ કરતાં પાંચ માણસ વધારે હોય તેને !

આના કારણે અમને અમુક જુની કહેવતોના નવા અર્થ (અનર્થ) સમજાઈ રહ્યા છે…

***

કહેવત :

જમવામાં જગલો અને કૂટવામાં ભગલો

અનર્થ :

આમાં ભગલો કોણ છે એ તો આપણે સૌ જાણી ગયા છીએ. પણ બિચારા જગલાઓ કોણ છે એ ખબર પડતી નથી ! હશે, પેલા 114 કરોડ રૂપિયા ક્યાં વાપરવા એ નક્કી થશે ત્યારે સમજાશે કે જગલાઓ કોણ હતા.

***

કહેવત :

ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા

અનર્થ :

સીધી વાત છે કોરોના તો બગીચાઓનાં બાંકડા પરથી, રેસ્ટોરન્ટના ટેબલ ઉપરથી અને રાતની સ્ટ્રીટ-લાઇટો વડે ફેલાય છે એટલે ત્યાં ડૂચા મારવા જરૂરી જ છે ! બાકી દરવાજાવાળું હજી નથી સમજાતું… પેલા સ્ટેડિયમના ગેટ નંબર 1, 2, 3, 4… વગેરે તો ના જ હોય ને ?

***

કહેવત :

ઘોડા નાસી ગયા પછી તબેલાંને તાળાં

અનર્થ :

કયા ઘોડા ? કેવા ઘોડા ? ગુજરાતમાં ઘોડાગાડીઓ જ નથી રહી તો વળી ઘોડા કેવા ? જે કંઈ ઘોડા વરઘોડામાં વપરાય છે ત્યાં તો વરરાજાને માસ્ક પહેરવું જ પડે છે ! પછી કયા ઘોડાની વાત થઈ રહી છે ?

હા, ચૂંટણી પહેલાં જે ‘હોર્સ-ટ્રેડિંગ’ થયું એની જો વાત હોય તો, ભઇ, એ ઘોડા તો જીત્યા પછી તબેલામાં જ છે ને ! ક્યાં નાસી ગયા છે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments