આજકાલ ‘હેરિટેજ સપ્તાહ’ ચાલી રહ્યું છે.
પણ ભઈ, ‘હેરિટેજ’ એટલે શું ? તો કહે, જે જેનું થઈ ગયું છે, ખખડી ગયું છે, ઘસાઈગયું છે અને લગભગ પતવા આવ્યું છે અને જે આપણને વારસામાં મળ્યું છે એને હેરિટેજ (વિરાસત) કહેવાય.
આ હિસાબે આપણા દેશના મહાનુભાવો એમનું હેરિટેજ સપ્તાહ શી રીતે ઉજવે ? થોડાં સૂચનો...
***
રાહુલ ગાંધીનું હેરિટેજ સપ્તાહ
રાહુલબાબાને 125થી વધારે વરસ જુની કોંગ્રેસ પાર્ટી ‘વિરાસતમાં મળી છે. (બધા કોંગ્રેસીઓ પણ એમ જ માને છે) પ્રોબ્લેમ એ છે કે વિરાસતની પ્રમુખપદની ખુરશી એમને ફાવી નહીં !
અમારું રાહુલબાબાને સૂચન છે કે આ હેરિટેજ સપ્તાહ દરમ્યાન કોંગ્રેસ પાર્ટીના આદ્યસ્થાપક દાદાભાઈ નવરોજજીની કોઈ તસવીર શોધીને, એની ઉપર જામેલી ધૂળ સાફ કરતા હોય એવો એક ‘ફોટો’ પડાવવો જોઈએ.
***
અનિલ અંબાણીની ઉજવણી
ધીરુભાઈ અંબાણીએ વિરાસતમાં આપેલી રિલાયન્સના બે ભાગ પડ્યા પછી અનિલભાઈએ એવી ગજબની જાળવણી કરી છે કે આજે રિલાયન્સ કોમ્યુનિકેશનના 15 રૂપિયાના શેરનો ભાવ 55 પૈસા છે !
સૂચન એટલું જ કે અનિલભાઈએ પોતાની પાસે બચેલા તમામ શેર ‘રાફેલ’ વિમાનમાં ભરીને મુંબઈ સ્ટોક એક્સચેન્જ ઉપર તેની વર્ષા કરવી જોઈએ.
***
ઉધ્ધવ ઠાકરેની વિરાસત
બાલાસાહેબ ઠાકરે પાસેથી વિરાસતમાં મળેલી શિવસેના પોતે જ ક્યાંક ‘હેરિટેજ સ્મારક’ ના બની જાય ! છેલ્લા 26 દિવસથી ઉધ્ધવજી ‘એના’ જ પ્રયત્નોમાં લાગેલા છે. (આમાં ‘એના’ના બન્ને અર્થ સમજવા)
***
ઓમાર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી
આ બન્ને કાશ્મીરી નેતાઓને તેમના પિતાશ્રીએ ‘આતંકવાદ’ની વિરાસત આપી છે. હાલ બંને જણા નજરકેદમાં છે પરંતુ લાગે છે કે એમના મનમાં આ વિરાસતનું ‘જતન’ અને ‘સંવર્ધન’ કરવાના જ પ્લાન ઘડાઈ રહ્યા હશે....
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment