વિશ્વના સૌથી ઊંચા એવા સરદાર વલ્લભભાઈ પટેલના પૂતળા વિશે ટીકા-ટિપ્પણી, વાંધા-વચકા અને જોક્સ વગેરે વાંચી લીધા ?
હવે જરા આપણા શહેર-ગામના ચોરે ને ચૌટે ઊભેલાં બિચારાં નાનાં પૂતળાંઓનું કંઈ સાંભળશો ? એમનું પણ એક આગવું ચિંતન હોય છે….
***
ચાર રસ્તે ઊભેલા પૂતળાંનું ચિંતન…
રાતના અંધારામાં મેં ચોરોને સંતાતા જોયા છે. દિવસના અજવાળામાં મેં એનાથી મોટા ચોરોને ખુલેઆમ સન્માન મેળવતા જોયા છે.
***
પૂતળું હોવાના બે ગેરફાયદા છે.
(1) વરસે એક વાર હલકટમાં હલકટ લોકો તમારી ઉપર હાર ચડાવી જાય છે.
(2) બાકીના દિવસોમાં નિર્દોષ પક્ષીઓ તમારી ઉપર શૌચ કરી જાય છે.
***
હું આખી જિંદગી ‘નકારાત્મક સૉચ ’ સામે ઝઝૂમ્યો હતો. હવે હું ‘હગારાત્મક શૌચ’ સામે ઝઝૂમી રહ્યો છું
***
તમારું ‘પદપક્ષાલન’ કરી જતાં કૂતરાંઓથી તમને તમારી પૂતળાની લાકડી પણ બચાવી શકતી નથી.
***
મંદિરનો પથ્થર પૂતળાના પથ્થર કરતાં સો ગણો વધારે નસીબદાર હોય છે. કારણ કે –
(1) તે મંદિરમાં હોય છે.
(2) તેની ઉપર છાપરું, છત કે ઘુમ્મટ હોય છે.
(3) મંદિરમાં પક્ષીઓ ઘૂસી શકતાં નથી.
અને (4) તેની ઉપર દૂધ, પાણી, તેલ જેવી ખાઈ શકે તેવી ચીજોનો જ અભિષેક થાય છે.
***
જીવતા લોકોનાં મીણનાં પૂતળાં બને છે. મરેલા લોકોનાં જ પથ્થરનાં પૂતળાં બનતાં હોય છે.
***
હાથ-પગ વિનાનાં પૂતળાં (બસ્ટ)નું ચિંતન…
‘બસ્ટ’ની કમનસીબી એ હોય છે કે પોતાને હાર પહેરાવનારને તે લાફો મારવાની ‘કલ્પના’ પણ કરી શકતું નથી,
***
વિશ્ર્વની સૌથી ઊંચી પ્રતિમાનું ચિંતન
માનવી 'મુઠ્ઠી ઊંચેરો' હોય એટલું જ પુરતું છે !
- મન્નુ શેખચલ્લી
Jay Jay garvi Gujarat
ReplyDeleteજય જય ગરવા ગુજરાતીઓ!
ReplyDelete