સુવાક્યોના ખતરનાક ' યુ ટર્ન '...!


સુવાક્યોનું એવું છે કે એ તો રોજ સવાર પડેને ડઝનની સંખ્યામાં મોબાઈલમાં આવીને પડે છે. પરંતુ જો એ જ સુવાક્યોની નીચે તેના લખનારનું નામ કંઈ બીજું જ હોય તો ?

તો એ સુવાક્યનો મિનિંગ અચાનક ખતરનાક 'યુ ટર્ન' મારે છે ! જુઓ નમૂના…

***

જગતથી છૂપા રહીને ચૂપચાપ પોતાનાં કામો કરતાં રહેવું એ જ બુધ્ધિશાળી માનવીનું સાચું લક્ષણ છે.

- દાઉદ ઈબ્રાહિમ

***

મુશ્કેલીના સમયે પોતાનું જ કમાયેલું ધન પોતાને કામમાં ન આવે તો તે ધનનો કશો અર્થ નથી.

- સુબ્રતો રોય (સહારા)

***

માત્ર પોતાના આનંદનો વિચાર કરવા તે વિકૃતિ છે. પરંતુ સહુને આનંદ વહેંચવો તેમાં આનંદની સાચી સ્વીકૃતિ છે.

- સની લિઓન

***

માનવી ગમે એટલું તરફડે, પોતાના મનના વિકારો આખરે પોતાના તનને સજા આપીને જ જંપે છે.

- આસારામ બાપુ

***

જ્યારે ભક્તિ ભોજનમાં પ્રવેશે છે ત્યારે ભોજન પ્રસાદ બની જાય છે

જ્યારે ભક્તિ સંગીતમાં પ્રવેશે છે ત્યારે સંગીત સ્તુતિ અને આરતી બની જાય છે.

જ્યારે ભક્તિ સીધાસાદા માનવીઓમાં પ્રવેશે છે ત્યારે માનવીઓ ‘ભક્ત’ બની જાય છે.

- નરેન્દ્ર મોદી

***

રમકડાંની લાલચમાં દોડીને પછડાટો ખાનાર બાળકને છેવટે માતાના ખોળામાં જ શાંતિ મળે છે.

- રાહુલ ગાંધી

***

જ્યારે આપનાર ખુ્લ્લે હાથે આપતો હોય ત્યારે લેનાર લેવામાં આળસ કરે, તો છેવટે તે ગરીબ જ રહે છે.

- પંજાબ નેશનલ બેન્ક

***

ફરે તે ‘ચરે’, બાંધ્યો ભૂખે મરે

- આવું નીરવ મોદીએ લાલુ યાદવને કહ્યું હતું.

***

આગળ વધો, સતત આગળ વધતા રહો. તમે આગળ વધશો તો જ પાછળ રહેલા આગળ આવશે.

- સિટી બસનો કન્ડક્ટર

***

જગત જેટલું પોતાની ગેરસમજથી નથી પીડાતું તેથી વધુ પોતાનો ‘ખુલાસો’ ન થવાથી પીડાય છે.

- કબજિયાતનો દરદી

***

- મન્નુ શેખચલ્લી

Comments