આંદોલન પહેલાં અને પછી ?!

દિલ્હીના જંતર મંતર ખાતે આંદોલન કરી રહેલા વંદાઓ, વાંગચૂક, પ્રધાન અને સરકાર બાબતે કેવા કેવા યુ-ટર્ન જોવા મળ્યા ? જુઓ…

*** 

પોતાની જાતને રાજકીય પંડીત માનનારા લોકો વિડીયોમાં કહેતા હતા કે ‘પાંચ કારણો… જેના લીધે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં જ આપે…’

એ જ પંડીતોએ તરત જ નવા વિડીયો બનાવ્યા કે ‘સાત કારણો… જેના લીધે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લેવામાં આવ્યું !’

*** 

ઉપવાસ પર ઉતરેલા સોનમ વાંગચૂક કહેતા હતા કે ‘ભલે મારા પ્રાણ જાય, પણ વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું ઉપવાસ ચાલુ રાખીશ…’

પછી હજી આંદોલન પૂરેપુરું પાછું ખેંચાય એ પહેલાં જ જેપી નડ્ડાને હાથે ‘પારણાં’ કરીને તેઓશ્રી બોલ્યા ‘બિચારા વિદ્યાર્થીઓ વધુ હિંસાનો ભોગ ના બને એટલા ખાતર હું અનશન પુરું કરું છું !’

*** 

મોદી સાહેબના ભક્તો પણ છાતી ઠોકીને કહેતા હતા કે ‘ઇતિહાસ ઉઠાવીને જોઈ લો… મોદી સાહેબ રાજીનામું લેતા નથી, અને મચક આપતા નથી !’

પરંતુ જેવું રાજીનામું પડ્યું કે તરત રેકોર્ડ બદલાઈ ગઈ : ‘મોદીજીનો માસ્ટર સ્ટ્રોક ! માત્ર એક રાજીનામું લઈને આખા રાષ્ટ્રને બચાવી લીધું !’

*** 

એમાંય રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો યુ-ટર્ન તો મોસ્ટ બેમિસાલ છે ! એ સંસદમાં બોલ્યા કે ‘આ તો બિચારા વિદ્યાર્થીઓ છે, કંઈ આતંકી નથી ! એમની ઉપર ગોળી ચલાવાતી હશે ?’

પણ યાદ કરો, થોડાં વરસ પહેલાં આ જ લોકો ‘આતંકીઓ આખરે તો માનવી છે’ એમ કહીને આતંકીઓ ઉપર ગોળી ચલાવવાનો વિરોધ કરી રહ્યા હતા !

*** 

અને જે લોકો પોલીસના લાઠીચાર્જને ‘નિર્દોષો ઉપરની ક્રૂરતા, બર્બરતા, જુલમ…’ એવું બધું કહેતાં હતા…

એ જ લોકો પોલીસની એ થિયરીને સપોર્ટ કરી રહ્યા છે કે ભીડમાં ઘૂસીને અઢી હજાર જેટલા ગુનેગાર તત્વોએ જ પથ્થરમારો કર્યો હતો ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments