મોટીવેશનલ સુવાક્યો !

જીવનમાં સફળતા માટે કંઈ મોટીવેશનલ સેમિનારોમાં જવાની જરૂર નથી. એના માટે છૂટાંછવાયાં સુવાક્યો જ પુરતાં છે ! જુઓ..

*** 

પહેલાં ‘દિલ’નું સાંભળો…
પછી ‘દિમાગ’નું સાંભળો..

અને છેવટે એ જ કરો જે કરવાની સૌ ‘ના’ પાડી રહ્યા છે !

*** 

બારમામાં નાપાસ થનારા નિરાશ ના થશો..
તમારી આજુબાજુના અંકલોને જુઓ, એમણે પાસ થઈને શું મોટી ધાડ મારી છે ?

*** 

જમાનો કેટલો સારો થઈ ગયો છે…

પહેલાં મા કહેતી હતી ‘બેટા, સવાર થઈ ગઈ, હવે ઊઠી જાવ.’

હવે મા કહે છે ‘બેટા, સવાર થવા આવી, હવે તો સૂઈ જા ?’

*** 

તમે માર્ક કરજો…

લગ્નોમાં કુંવારાઓ સૌથી વધુ જોવા મળશે.
અને સ્મશાનયાત્રામાં ઘરડાઓ વધુ દેખાતા હશે.

કેમ ? કેમકે બંનેના મનમાં એમ હોય છે કે ‘હું નહીં જાઉં, તો મારામાં કોણ આવશે ?’

*** 

કોણ કહે છે કે ભારતના લોકો ગરીબ છે ?

૧૯૯૬માં જે ભાવે આપણે પેટ્રોલ ખરીદતા હતા…
એ ભાવે તો આજે આપણે પાણીની બોટલ ખરીદી લઈએ છીએ ! બોલો.

*** 

તમને કદી વિચાર આવ્યો છે ? કે…

‘નીટ’ની એક્ઝામમાં ૯૫ ટકા માર્ક્સ અપાવવાની ગેરંટી આપતા ક્લાસિસના ટીચરો…
પોતે કેમ ડોક્ટર નથી બની શક્યા ?

*** 

આજકાલ વડીલો નવરા થઈ ગયા છે.
કેમકે બીજાઓને સાચો રસ્તો બતાડવાનું કામ તો ગુગલ મેપે છીનવી લીધું છે !

*** 

બાકી, આ દુનિયામાં ચંપલ જેવું શ્રેષ્ઠ કપલ બીજું કોઈ છે જ નહીં…

કેમકે એક ખોવાઈ જાયતો બીજું આપોઆપ પોતાનું અસ્તિત્વ જ ગુમાવી બેસે છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments