અમુક સવાલો ‘સિરીયસલી ફની’ હોય છે… તો અમુક જવાબો ‘ફની’ લાગવા છતાં ‘સિરીયસ’ પણ હોઈ શકે છે ! જુઓ બંનેના નમૂના…
***
સવાલ :
આપણને જે લાખોપતિ અને કરોડપતિ બનવાનાં આશીર્વાદો આપે છે, એ ભિખારીઓ પોતે જ કેમ ગરીબ હોય છે ?
જવાબ :
કેમકે ભિખારીઓને આશીર્વાદ કોણ આપે ?
***
સવાલ :
અમુક ડોક્ટરો ખુદ બિમાર થઈ જતા હોય છે ! એવું કેવું ?
જવાબ :
બહુ સિમ્પલ છે. અમુક સાધુ-બાવાઓ સેક્સ-કાંડમાં નથી ફસાઈ જતા ?
***
સવાલ :
ગાય, ભેંસ, હાથી, ઘોડા વગેરે પ્રાણીઓ માત્ર ઘાસ ખાય છે છતાં કેટલા મજબૂત હોય છે ! તો માણસે માંસાહાર કરવાની શી જરૂર છે ?
જવાબ :
માણસો નહીં સમજે ! તમે યાર, પેલાં વાઘ, સિંહ, ચિત્તા, દિપડા એવા બધાં પ્રાણીઓને સમજાવો ને ? એ કદાચ સમજી જશે…
***
સવાલ :
જે લોકો કસરત કરે છે, પ્રાણાયામ કરે છે, પરેજી કરે છે, ઉપવાસ કરે છે, વ્યસનોથી દૂર રહે છે, સાદું જીવન જીવે છે… એ બધા મરતી વખતે ખુશ હશે ને ?
જવાબ :
ના હોં ! કેમકે એ બધા તો ‘કારણ વિના’ જ મરી જવાના !
***
સવાલ :
આખી દુનિયામાં ગ્રાહક સૌથી વધુ ક્યાં છેતરાય છે ?
જવાબ :
શાળા-કોલેજોમાં ! કેમકે અહીં ભણવાનું ગ્રાહકે, યાદ રાખવાનું ગ્રાહકે, મહેનત પણ ગ્રાહકે કરવાની અને પાસ પણ ગ્રાહકે જ થવાનું ! જો નાપાસ થાય તો વાંક તો ગ્રાહકનો જ ગણાય !
અને હા, પૈસા પાછા મળતા નથી ! કોઈ ‘સ્પેર-પાર્ટ’ બદલી આપવામાં આવતા નથી ! (દિમાગના) અને ‘ગેરંટી’ તો કશાયની નથી ! ઓકે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment