સિમ્પલ ભોળા સવાલો !

યુદ્ધ ક્યારે પુરું થશે ?... ગેસનો બાટલો ફરી સસ્તો થશે ખરો ?.... પશ્ચિમ બંગાળમાં મમતા આવશે કે ભાજપ ?... અરે, ટ્રમ્પને કેમ કોઈ સમજાવતું નથી ? ….

આવા અઘરા સવાલોની વચ્ચે અમને તો ઘણીવાર સાવ સિમ્પલ અને ભોળા સવાલો થાય છે. જેમકે…

*** 

જો ઊંઘ લાવવા માટે ગોળી બનાવી શકાય છે તો ઊંઘમાંથી જાગવાની ગોળી કેમ નથી હોતી ?

*** 

જો હાર્ટમાં બ્લોક થયેલ નસને ‘બાય-પાસ’ કરી શકાય છે તો દિમાગમાં પડી ગયેલી બાયસની ગ્રંથિને ‘બાય-પાસ’ કરવાનું ઓપરેશન કેમ નથી હોતું ?

*** 

જો ગુરુત્વાકર્ષણની શોધ પહેલાં ગુરુત્વાકર્ષણ હતું જ, તો શૂન્યની શોધ પહેલાં શૂન્ય ક્યાં હતું ?

***
 
જો મર્યા પછી કોઈ પાછું જ નથી આવતું તો દુનિયાને ખબર શી રીતે પડી કે એક સ્વર્ગ હોય છે અને એક નર્ક પણ હોય છે ?

*** 

જો ફેવિ-ક્વીક બધી વસ્તુઓને ચોંટાડી શકે છે તો તે જે ટ્યુબમાં આવે છે એમાં જ કેમ નથી ચોંટી જતું ?

*** 

‘જો જળ જીવન છે’…તો માણસ પાણીમાં ડૂબીને ‘મરી’ કેમ જાય છે ?

*** 

પત્ની જો ઘરની લક્ષ્મી છે તો એ રોજેરોજ પૈસા કેમ માંગ્યા કરે છે ?

*** 

જો હલવો બનાવતાં બનાવતાં દાઝી જાય તો એને ‘જલવો’ કહેવાય કે નહીં ?

*** 

જો ‘પેટ’ એ શરીરનો ભાગ છે અને ‘લાદ’ એ ઘોડાના શરીરમાંથી નીકળતી ચીજ છે.. તો યાર, ‘પેટલાદ’ શહેરનું નામ ‘પેટ-લાદ’ શી રીતે પડ્યું હશે ?

*** 

બાકી, કોઈ ગામને કોની ‘યાદ’ એટલી બધી ‘નડી’ હશે કે ગામનું નામ જ ‘નડીયાદ’ પડી ગયું ?

*** 

અને જામનગરમાં ‘જામ’ મળી જાય, ભાવનગરમાં તમને ‘ભાવ’ મળી જાય, પણ ગાંધીનગરમાં કોઈને ‘ગાંધી’ મળી જાય એવું કેમ બનતું નથી ?

***

- મન્નુ શેખચલ્લી

Comments