ખોટી પડતી કહેવતો !

જમાનો એવી રીતે બદલાતો જાય છે કે અમુક જુની અને જાણીતી કહેવતો હવે ખોટી પડી રહી છે ! માન્યમાં નથી આવતું ? તો જુઓ…

*** 

જુની કહેવત હતી : ‘ધાર્યું ધણીનું થાય.’

આજે આખા ગુજરાતમાં કોઈપણ ઘરમાં જઈને પૂછી જોજો, ધાર્યું ધણીનું નહીં, ‘ધણિયાણી’નું જ થાય છે !

*** 

જુની કહેવત હતી : ‘ખાડો ખોદે તે પડે…’

હવે તમે જ કહો, આજે ખાડા કોણ ખોદે છે ? સરકાર ! અને પડે છે કોણ ? જનતા !

*** 

વડ તેવા ટેટા, અને બાપ તેવા બેટા…’

બોલો, સાવ ખોટી કહેવત છે ને ? ના ના, તમે મને કહો, શું તમે ‘આળસું, તોછડા, તરંગી, બેફીકર, નિશાચર અને સાવ બેજવાબદાર’ કહી શકાય એવા ‘બાપ’ જોયા છે? પણ એવા બેટા, જથ્થાબંધના ભાવે જોવા મળશે…

*** 

એક ડહાપણ ભરી કહેવત આપણને ભણાવતા હતા કે ‘સંપ ત્યાં જંપ’…

પણ આજે જુઓ, ‘સંપ’ કરીને કોણ બેઠા છે ? નેતાઓ, અધિકારીઓ, સરકારી કર્મચારીઓ, પોલીસો, કૌભાંડીઓ, ભ્રષ્ટાચારી, ઉદ્યોગપતિઓ, ગુનેગારો અને ખુદ ન્યાયતંત્ર !
અને ‘જંપ’ કોને નથી ? તમે જોઈ શકો છો…

*** 

‘સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો !’

ખરેખર ? સાલું, આવું તો હવે ટીવી સિરીયલોમાં પણ નથી રહ્યું ! બિચારી સાસુઓ તો આજકાલ ફફડે છે વહુઓથી !

*** 

પુત્રનાં લક્ષણ પારણામાં અને વહુનાં લક્ષણ બારણામાં…’

જોકે આમાં હવે ચિત્ર બદલાઈ ગયું છે. બાળક હજી ઘોડિયામાં હોય ત્યાંથી જ એનાં લક્ષણો મોબાઈલ માગે છે ! અને વહુનાં લક્ષણો બારણાંની બહાર જતાં જ પ્રગટ થાય છે !

*** 

ધીરજનાં ફળ મીઠાં…’

અરે યાર, તમે કોઈપણ ફળ બોલોને, ‘બ્લિન્ક-ઈટ’ પરથી માત્ર આઠ મિનિટમાં આવી જાય છે ! બોલો હવે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments