સમાચારોમાં મમરા !

ક્યારેક અમુક સમાચારો એવા આવી ચડે છે કે એમાં ‘મમરો’ મુક્યા વિના રહેવાતું નથી ! જુઓ નમૂના…

***

સમાચાર :

મ્યામારની સરહદેથી ૩૦૦ આતંકવાદીઓ મણીપૂરમાં ઘૂસી આવ્યા છે.

મમરો :

અચ્છા ? એ ૩૦૦ હતા એ શી રીતે જાણ્યું ? ગણ્યા ત્યારે ખબર પડી ? અને જો ગણ્યા, તો એ જ વખતે રોક્યા કેમ નહીં ?

***

સમાચાર :

‘વન નેશન વન ઇલેક્શન’ના પ્લાનને કેબિનેટે લીલી ઝંડી આપી દીધી છે.

મમરો :

જોજો આમાં છેતરાતા નહીં ! અગાઉ આ લોકોએ ‘વન નેશન વન ટેક્સ’નું ચલાવ્યું હતું. પણ છતાં આજે ઇન્કમટેક્સ, રોડ ટેક્સ, ટોલ ટેક્સ, કેપિટલ ગેઇન ટેક્સ, ગિફ્ટ ટેક્સ, એકસાઇઝ, વેટ… બધું જ છે ને !

***

સમાચાર :

આજકાલ જુની ફિલ્મો રિ-રિલિઝ થઈને હિટ થઈ રહી છે.

મમરો :

એ તો થવાનું જ હતું ! જુઓ, રાહુલ ગાંધી પંદરમી વખત રિ-રિલિઝ થયા પછી હિટ થઈ ગયા કે નહીં ?

***

સમાચાર :

અમેરિકાએ ખાલીસ્તાની આગેવાનોને ખાત્રી આપી છે કે અમેરિકામાં તેઓ સલામત રહેશે !

મમરો :

આ સાંભળીને અલ-કાયદા અને લશ્કર-એ-તોયબાના સભ્યો પણ અમેરિકામાં જઈને રહી પડવાનું વિચારી રહ્યા છે !

***

સમાચાર :

મમતા બેનરજીએ ઝારખંડથી આવતી ટ્રકોને પ.બંગાળની બોર્ડર પર અટકાવી દીધી. કેમકે ઝારખંડના ડેમમાંથી છૂટેલા પાણીમાં પ.બંગાળનાં ગામડાંઓમાં પુર આવી ગયું.

મમરો :

અભિનંદન મમતાજી ! ભારતનાં રાજ્યો વચ્ચે નવી નવી બોર્ડરો બનાવવાની પહેલ તો તમે જ કરી શકો !

***

સમાચાર :

ચંદ્રબાબુ નાયડુ કહે છે કે તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુમાં જે ઘી વપરાયું તેમાં પશુની ચરબી અને માછલીનું તેલ હતું !

મમરો :

લો બોલો, અત્યાર સુધી આપણે એમ માનતા હતા કે નકલી ઘી એટલે ‘વેજિટેબલ’ ઘી… પણ આ તો નવું નીકળ્યું… ‘નોન-વેજ’ ઘી !

***

- મન્નુ શેખચલ્લી

Comments