નેતાઓની પૂતળાં (રાજ) નિતી !

આપણા દેશના રાજકારણને પૂતળાંઓ સાથે કંઈ ગજબની લેણાદેણી છે ! જુઓ…

*** 

મોદીજીએ મણિપુરમાં આટલું બધું થઈ ગયું તેના માટે નહીં, પણ બે હાથ જોડીને માફી ક્યારે માગી ?

- મહારાષ્ટ્રમાં એક ‘પૂતળું’ પડી ગયું ત્યારે !

*** 

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર આટલા બધા અત્યાચાર થયા ત્યારે નહીં પણ શશી થરૂરને દુઃખ ક્યારે થયું ?

- જ્યારે ઢાકામાં ’૭૧ના યુદ્ધના વોર મેમોરિયલનું ‘પૂતળું’ તોડી નાંખવામાં આવ્યું ત્યારે !

*** 

થોડા વરસ પહેલાં પશ્ચિમ બંગાળમાં મોટા પાયે તોફાનો ક્યારે ફાટી નીકળ્યાં હતાં ?

- જ્યારે સુભાષચંદ્ર બોઝનું ‘પૂતળું’ તોડી નાંખવામાં આવ્યું હતું ત્યારે !

*** 

મોટાભાગના રાજકીય વિરોધમાં શું બાળવામાં આવે છે ?

- કોઈ નેતાનું ‘પૂતળું’ !

*** 

અરે, જ્યારે શાંત વિરોધ કરવાનો હોય, માત્ર સૂત્રો પોકારીને, બેનરો બતાડીને થોડા ફોટા જ પડાવવાના હોય ત્યારે કયું સ્થળ પસંદ કરાય છે ?

- ગાંધીજીનું ‘પૂતળું’ !

*** 

અને મોદી સાહેબે ગુજરાતનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાય એ માટે શું કર્યું ?

- સરદાર વલ્લભભાઈનું ‘પૂતળું’ બનાવડાવ્યું !

*** 

યાદ કરો, દર વરસે એક મોટો ‘તહેવાર’ ઉજવાય છે જેમાં નેતાઓ તીરકામઠાં લઈને શું કરવા માટે પહોંચી જાય છે ?

- દશેરાના દિવસે, રાવણનું ‘પૂતળું’ બાળવા માટે !

*** 

છેલ્લે… આ દેશના તમામ વીઆઈપી, મહાનુભાવો, નેતાઓ અને સેલિબ્રિટીઓનું શું સપનું હોય છે ?

- કે લંડનના તુસ્સાડ મ્યુઝિયમમાં એમનું ‘પૂતળું’ હોય !

***

- મન્નુ શેખચલ્લી

Comments