ભજીયાંની એક ગઝલ !

આપણા ગુજરાતી શાયરો માટે અમને બહુ મોટી ફરિયાદ છે ! કોઈએ ચા વિશે, માવા-મસાલા વિશે અને ખાસ કરીને ભજીયાં વિશે ગઝલો લખી જ નથી !

આ મહેણું દૂર કરવાનો અમારો આ નમ્ર પ્રયાસ છે… જાણીતા શાયરોની માફી સાથે !

*** 

ગરમ ભજીયાં જ મારા
દર્દનો ઉપચાર લાગે છે
મરચાં સહિત તો સ્વર્ગનો
દરબાર છે ભજીયાં !

*** 

મૂંગે મોઢે મરણતોલ
એ ઘાવ સહે છે પણ
દોઢસો ડીગ્રીમાં જલીને
સ્વાદ આપે છે ભજીયાં !

*** 

ખોવાયેલી ખુશબુથી ફરી
મેળાપ કરાવી દો…
આખા ઉનાળાનો ઝૂરાપો…
ને… વરસાદનાં ભજીયાં !

*** 
હવાઓમાં લખેલી મહેકની
ફરિયાદ આવી છે…
કાતિલ છે ચૂલ્હો-તેલ
(પણ) સજાને માાફ છે ભજીયાં !

*** 

જ્યારે કલા, કલા નહીં
જીવન બની જશે…
ત્યારે જ બેસન માત્રથી
બનશે નવાં ભજીયાં !

*** 

આ સૃષ્ટિનાં સંગીતમાં
જુલબંધી અજબ ભાળી
રિમઝિમ છાંટણાંની તાનમાં
છમછમ કરે ભજીયાં !

*** 

હો ભલે બંધાણ ચ્હા,
કે બીયર-મદિરાનું…
હર મહેફિલમાં અલગ છતાં
‘કોમન’ હોય છે ભૂજિયાં !

*** 
ગયા જનમનાં પૂણ્ય હશે
કે આ જનમની ભલાઈ
વરસાદ પડતાં જ જો પત્ની
તળી આપે ગરમ ભજીયાં !

*** 
પૂણ્યો ખૂટી પડ્યાં
કે કરમ કાળાં કર્યાં હશે
જેને લાઇનમાં ઊભવા છતાં
દુકાને, ખૂટી પડે ભજીયાં !

*** 

(અને નરસિંહ મહેતા કહી ગયા…)

હો રંગ-રૂપ જુજવાં છતાં
એ પીળું… ‘હેમ’ હોયે છે
ભલે મેથી, બટાકા, કંદથી
બનતાં રહે… ભજીયાં !

***

- મન્નુ શેખચલ્લી

Comments