સવાર સવારના તમારા મોબાઈલમાં જે સુવાક્યો આવી પડે છે. એમાં શું દાટ્યું છે ? અરે, ભરપૂર મનોરંજન દાટ્યું છે ! જો તમે એને સ્હેજ ખોતરી શકો તો ! દાખલા તરીકે…
***
‘સત્ય હંમેશા કડવું હોય છે.’
- અચ્છા ? એટલે ખાંડ, ગોળ, ચોકલેટ વગેરેમાં કંઈ સત્ય જ નથી ?
***
‘દુનિયા હંમેશા ઉગતા સૂરજની પૂજા કરે છે.’
- હા ભઈ હા, પણ જલસા તો બધા રાતે જ થાય છે ને !
***
‘ઇચ્છા દુઃખની મા છે.’
- ઓ ભાઈ, કુટુંબ નિયોજન ખાતામાં જઈને ફરિયાદ કરો !
***
‘સ્ત્રી, તારું નામ જ ઇર્ષ્યા છે.’
- દિમાગ ના ખાઓ યાર ! આખા ભારતની વસતી ગણતરીનું લિસ્ટ ખોલીને જોઈ લો. એક પણ સ્ત્રીનું નામ ‘ઇર્ષ્યા’ નીકળે તો આગળ વાત કરજો.
***
‘હું માનવી ‘માનવ’ થાઉં તો ઘણું.’
- આના માટે તમારું આધાર-કાર્ડ ફરીથી કઢાવવું પડે ! સમજ્યા ?
***
‘ધીરજનાં ફળ મીઠાં હોય છે.’
- અને ધીરજનાં લીંબુ ?
***
‘સર્વ દિશાઓમાંથી શુભ વિચારો આવવા દો.’
- અને પછી એ બધું ‘ડિલીટ’ કોણ કરશો ? તારો કાકો ?
***
‘ખોટું કામ કરવાનો વિચાર આવે ત્યારે તેને અમલમાં મુકતાં પહેલાં કોઈ સારા માણસની સલાહ લેવી જોઈએ.’
- આજકાલ આવા સારા માણસોને ‘ટેક્સ-કન્સલ્ટન્ટ’ કહેવામાં આવે છે !
***
‘જે ક્ષણે તમારા હૃદયમાં ગાંઠ પડવાનું શરૂ થાય છે એ જ ક્ષણથી સ્વાર્થની શરૂઆત થાય છે.’
- સ્વાર્થની નહીં, હૃદયરોગની શરૂઆત થાય છે, બોસ !
***
‘પડ્યા પડ્યા કટાઈ જવા કરતા કામ કરીને ઘસાઈ જવું સારું.’
- અમે અમારા રસોડાની છરીઓને પણ આ જ સલાહ આપીએ છીએ !
***
‘ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે અને સતત ભેગા રહીને કામો કરવાં એ સફળતા છે.’
- ઇન્ડી ગઠબંધનવાળા આજકાલ આ જ ભ્રમમાં છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment