ચુંટણી છે કે જ્યોતિષી મેળો ?

આઝાદી પછીની કદાચ આ એકમાત્ર એવી વિચિત્ર ચૂંટણી છે જ્યાં પાર્ટીઓ અને ઉમેદવારો પોતે જ્યોતિષીઓ બની ગયા છે ! પોતે શું કર્યું અને પોતાની પાર્ટી શું કરવા માગે છે એની વાત કરવાને બદલે ભવિષ્યવાણીઓ જ કર્યે રાખી છે !

*** 

લેટેસ્ટ ભવિષ્યવાણી જ્યોતિષાચાર્ય ઉદ્ધવ ઠાકરેએ કરી છે કે ચાર જુન પછી ભાજપના બે ટુકડા થઈ જશે !

(શિવસેનાના બે ટુકડા થતાં પહેલાં એમણે પોતાની કુંડળી નહીં જોઈ હોય ?)

*** 

અરવિંદ કેજરીવાલ ભવિષ્યવાણી કરી ચૂક્યા છે કે નવા વડાપ્રધાન અમિત શાહ હશે ! અને યોગી, રાજનાથ વગેરેને કાઢી મુક્યા હશે. એટલું જ નહીં, તમામ વિપક્ષી નેતાઓ જેલમાં હશે !

(આ ભવિષ્ય કદાચ તિહાર જેલની દિવાલો ઉપર લખેલું દેખાયું હશે, નહીં ?)

*** 

મલ્લિકાર્જુન ખડગેજી પહેલાં કહેતાં હતા કે જો ભાજપ જીતશે તો દેશમાં ફરી ચૂંટણીઓ જ નહીં થાય ! પણ હવે કહે છે કે ભાજપને તો ૨૦૦ સીટો પણ નહીં મળે !

(ખડગેજી કઈ રીતે જ્યોતિષ જોતાં હશે ? અડદના દાણા નાંખીને ? કે પોપટ પાસે ચીઠ્ઠી ઉપડાવીને !)

*** 

ફારૂખ અબ્દુલ્લાને ભવિષ્ય દેખાયું છે કે જો ભારત પીઓકે લેવાની વાત કરશે તો પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી.... એ પરમાણુ બોમ્બ ફેંકશે તો અહીં જ આવીને પડશે !

(આમાં એક શંકા છે... સાલું, પાકિસ્તાને ફેંકેલો બોમ્બ પાકિસ્તાનમાં જ પડે, એવું પણ બને !)

*** 

અમિત શાહે પણ કાલયંત્રની ગણત્રી માંડીને કીધું છે કે પાકિસ્તાનને પરમાણું બોમ્બ વેચવાનો વારો આવશે !

(આ બને, હોં ? પેલા ઇરાનને જોઈએ જ છે ! અમિતભાઈ વચમાં રહે તો સોદો સહેલાઈથી પાર પડે !)

*** 

મોદીજી કહે છે કે જો કોંગ્રેસ આવશે તો તમારા ઘરમાં ઘૂસીને તમારી ભેંસ પણ લઈ જશે !

(અચ્છા ? આ ભેંસની કુંડળીઓ ક્યારથી બનવા લાગી ?)

*** 

જોકે ભાજપ અને કોંગ્રેસ એક ભવિષ્ય બાબતે બિલકુલ સહમત છે...

- ભાજપ કહે છે કે જો કોંગ્રેસ આવશે તો મુસ્લિમોને અનામત આપશે...

અને કોંગ્રેસ કહે છે હાસ્તો વળી ! અમે આવીશું તો મુસ્લિમોને અનામત જરૂર આપીશું ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments