કેજરીવાલજી હાલમાં દિલ્હીની તિહાર જેલમાં છે. આ અગાઉ પણ એકવાર નવ દિવસ માટે અરુણ જેટલીની બદનક્ષી બદલ જેલમાં રહી ચૂક્યા છે… પણ આ વખતની વાત અલગ છે !
જરા કલ્પના કરો, જો કેજરીજી જેલમાં બેઠા બેઠા અંગત ડાયરી લખતા હોત તો ?...
***
અગાઉ હું આવ્યો હતો ત્યારે મેં અહીં ‘રેકી’ કરી હતી ! પણ આ વખતે ઘણું બદલાઈ ગયું છે…
આ વખતે અહીં મારું ભવ્ય સ્વાગત થયું ! કેમ ? કારણ કે અહીંના લોકો છેક છ મહિના પહેલાંથી મારા આગમનની રાહ જોઈ રહ્યા હતા !
***
અહીંના એલ્યુમિનિયમના થાળી વાટકા જોતાં જ મને કોરોનાની યાદ આવી ગઈ ! મેં મોદીજીને રોયલ્ટી આપ્યા વિના જ એમનો આઇડિયા ચોરી લીધો અને મારા સમર્થકોને થાળી-વાટકા વગાડવા માટે એલાન કર્યું.
પરંતુ કોરોનાની જેમ જ, પેલું ઈડી ગયું નહીં !
***
મિડીયામાં વાત ફેલાવવામાં આવી છે કે મારું બ્લડ-શુગર વધી જાય એટલા માટે હું ભોજનમાં ગળ્યું વધારે ખાઉં છું…
પણ આ વાત ખોટી છે. હકીકતમાં તો અંદર આવ્યા પછી જાહેરસભામાં મારી જીભની કડવાશ કાઢવાનો મોકો જ નથી મળ્યો એમાં ‘સમતુલા’ બગડી ગઈ છે ! એટલે ગળ્યું ખાવું પડે છે !
***
સિસોદિયા મને કહેતા હતા ‘સર, તમારે તમારું બ્લડ-પ્રેશર વધારવાનો કીમિયો જોઈએ છે ?’
મેં કહ્યું ‘ના ભાઈ, હું અહીં આવ્યો છું ત્યારથી ઓલરેડી વધેલું જ છે !’
***
મારા ગુરુ અણ્ણા હજારેની ચીઠ્ઠી આવી છે, લખે છે કે ‘તેં ઝેરનાં પારખાં કરીને જબરી હિંમત બતાડી છે ! ભ્રષ્ટાચારી સાથે કેવું વર્તન થવું જોઈએ તેનો દાખલો બેસાડવા માટે જાતે જ ભ્રષ્ટાચાર કર્યો ? વાહ ચેલા વાહ !’
***
હવે ગુરુજીને શું જવાબ આપું ? એમણે માગ્યું હતું એવું જ લોકપાલ બિલ જો અમલમાં હોત તો, યાર, હું ત્રણ વરસ પહેલાં જ જેલભેગો થઈ ગયો હોત !
પેલી કહેવત યાદ આવી રહી છે : ‘બોયા પેડ બબૂલ કા તો આમ કહાં સે હોય ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment