આજકાલ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે ધર્મ અને રાજકારણને એકબીજાથી અલગ રાખવા જોઈએ કે નહીં ? તો ચાલો, આપણે એ બન્નેને અલગ અલગ રાખીને જ સરખામણી કરી જોઈએ…
***
રાજકારણમાં તમારે ટેક્સ આપવો પડે છે. પણ ટેક્સ આપવાનું કોઈને ગમતું નથી.
ધર્મમાં તમારે દાન આપવાનું હોય છે. જે સૌ હોંશેહોંશે આપે છે.
***
ટેક્સ આપ્યા પછી લોકો હિસાબ માગે છે.
દાન આપ્યા પછી લોકો ફક્ત આશીર્વાદ જ માગે છે !
***
ધર્મમાં કહેવાય છે કે ઉપરવાળો બધું જુએ છે.
રાજકારણમાં આજકાલ કહેવાય છે કે ED બધું જુએ છે !
***
રાજકારણમાં હોય તેમણે રોડ, હોસ્પિટલો, સ્કુલો, કોલેજો, તળાવો, ડેમો, નહેરો, રેલ્વે સ્ટેશનો, એરપોર્ટો અને શૌચાલયો પણ બનાવી આપવાં પડે છે.
ધર્મસ્થાનોમાં એવું કશું નથી. એમાં તો બસ, ધર્મસ્થાનો જ ભવ્ય બનાવવાનાં હોય છે.
***
ધાર્મિક ગુરુ જે બોલે તેને સૌ જ્ઞાન માને છે.
રાજકીય નેતા જે બોલે તેને સૌ બકવાસ માને છે !
***
રાજકીય નેતાઓ વચનો આપે છે. પોતે પાળે છે કે નહીં, તેનાથી તેમને ફેર તો પડે છે.
ધાર્મિક ગુરુઓ આશીર્વાદ આપે છે... ફળે છે કે નહીં, તેનાથી ખાસ ફેર પડતો નથી.
***
છતાં રાજકીય નેતાઓ ઉપર કોઈને ભરોસો નથી.
પરંતુ ધાર્મિક ગુરુઓ ઉપર સૌને ભરોસો છે.
***
નેતાઓ ગરીબો પાસે વોટ માગે છે અને ધનવાનો પાસે નોટ માગે છે.
ધર્મસ્થાનો ગરીબો પાસે શ્રધ્ધા માગે છે અને અમીરો પાસે દાન માગે છે.
***
રાજકીય નેતાઓ મંડ્યા છે કે બધું સ્વચ્છ રાખો, આખું ભારત સ્વચ્છ રાખો !
ધાર્મિક ગુરુઓ કહે છે કે ફક્ત તમારું અંતરમન સ્વચ્છ રાખો, બસ.
***
નેતાઓ સરઘસ કાઢે છે, રોડ શો કરે છે.
ધર્મવાળા શોભાયાત્રા કાઢે છે.
- પણ એક નેતાએ થોડાં વરસો પહેલાં રથયાત્રા કાઢી, એમાં જ ભેળસેળ થવા માંડી !
***
ધર્મ કહે છે, આયુષ્યમાન ભવ !
નેતા કહે છે, આયુષ્યમાન કાર્ડ લઈ લો !
***
ધર્મસ્થાનોમાં ગરીબોને, ભૂખ્યાઓને મફતમાં ભોજન મળે છે.
પણ રાજકારણમાં તો ગરીબોને છેક ઘેરબેઠાં અને મફતમાં અન્ન પહોંચાડે છે !
સાલું, કન્ફ્યુઝિંગ છે, નહીં ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment