આપણો પણ EXIT પોલ !

પાંચ રાજ્યોની ચૂંટણીઓ પછી ધડાધડ EXIT પોલનાં અનુમાનો આવી રહ્યાં છે! જોવાની વાત એ છે કે આમાં કોને ગાદી મળશે અને કોણ ગાદી વિનાનો રહેશે એની જ ચર્ચા છે! પ્રજાનું શું થશે એની તો વાત જ નથી…

એટલે જ અમે પ્રજાના એંગલથી એક પોલ બહાર પાડી રહ્યા છીએ !

*** 

EXITની વાત છે તો…

- થશે એવું કે જીતનારા ઉમેદવારો પોતાના મતવિસ્તારમાંથી EXIT કરી જશે અને રાજ્યની રાજધાનીમાં પહોંચી જશે.

- એ જ રીતે હારનારા ઉમેદવારો મતવિસ્તારથી EXIT કરીને પોતપોતાના ઘરે જતા રહેશે.

- દિલ્હીની ન્યુઝ ચેનલોવાળા પણ રાજ્યોમાંથી EXIT કરીને પાછા દિલ્હી ભેગા થઈ જશે.

- બસ, પ્રજા હતી ત્યાં ને ત્યાં રહેશે. એ ક્યાંય EXIT કરી શકશે નહીં !

*** 

પોલ’ની વાત છે તો…

- હવે નેતાઓ એકબીજાની પોલ ખોલવાનું થોડા સમય માટે મુલતવી રાખશે.

- હારેલા નેતાઓ EVMની પોલ ખોલવા માટે થોડા ધમપછાડા કરશે, પણ પછી બધું ઠંડુ પડી જશે.

*** 

ઓપિનિયન POLLની વાત છે તો…

થશે એવું કે જે કરોડો લોકોએ POLL એટલે કે મતદાનમાં ભાગ લીધો છે એમને હવે કોઈ પૂછશે જ નહીં !

- અને ‘ઓપિનિયન’ આપનારાઓ ગળાં ફાડીને વિશ્ર્લેષણો કરતા રહેશે !

*** 

અન્ય અનુમાનો…

‘તમને ફલાણાએ લૂંટી લીધા અને ઢીંકણાએ ઉલ્લુ બનાવ્યા’ એવું કહેનારા નેતાઓ પોતે જ હવે પ્રજાને લૂંટવાના અને ઉલ્લુ બનાવવાના પ્લાનમાં વ્યસ્ત થઈ જશે !

- અને હા, પરિણામોની 'પ્રજા' ઉપર શું અસર પડશે એના કરતાં '2024ની ચૂંટણી' ઉપર શું અસર પડશે? એની ચર્ચા વધારે થતી હશે !

- બોલો, લોકશાહી ઝિંદાબાદ !

***

- મન્નુ શેખચલ્લી

Comments