અફસોસની વાત છે કે કવિ કાલિદાસથી લઈને આજના અછાંદસ આધુનિક કવિઓમાંથી કોઈએ કેરી વિશે કાવ્યો લખ્યાં જ નથી !
એ જ રીતે ચિંતનકારોએ પણ કેરીને કદી ગંભીર વિષય તરીકે લીધી જ નથી. એમ જોવા જાવ તો બિચારો કોમનમેન પણ કેરી વિશે ખાસ વિચારતો નથી…
આજે ત્રણેય ખોટ પુરી કરવાનો નમ્ર પ્રયાસ છે…
***
કોમનમેન :
- કેરીને હિન્દીમાં ‘આમ’ શા માટે કહેવામાં આવે છે ? જ્યારે કેરી જેવું દુનિયામાં કોઈ ‘ખાસ’ ફળ નથી…
***
કોમનમેનને આમ આદમી શા માટે કહેવામાં આવે છે ? શું નેતાઓને અમારામાં ખરેખર ‘રસ’ છે ? કે પછી અમે (લોહી) ‘ચૂસવા’ માટે જ કામમાં આવીએ છીએ ?
***
અચ્છા, કોઈ કેરીનું નામ ‘લંગડો’ શા માટે છે ? એના ભાવ તો ભલભલાને દોડતા કરી મુકે એવા હોય છે !
***
અને ‘તોતાપુરી’ ? એ તો કંઈ નામ છે ? શું એ કેરી પોપટ (તોતા) માટે છે ? યાર, નામ તો સરખાં પાડો ? જુઓ, અમે કેવું સરસ નામ પાડ્યું છે… ‘કેસર’ !
***
ચિંતનકાર :
કેરી ખાઈ લીધા પછી એમાંથી ગોટલી શોધવાની ક્રિયા એ આંખો ગ્રંથ વાંચી લીધા પછી એની પાછળનું વિચારબીજ શોધવાના ફાંફાં સમાન છે.
***
પાઉડર વડે પકવેલી કેરી એ બિચારી ભોળી કેરી ઉપર AIનું આક્રમણ છે.
***
કવિ :
ઉનાળા સાથે કેરીએ
હરિફાઈ માંડી છે…
હું કવિતા વડે પકાવું
એ એમ જ પકાવે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment