અમુક ઘટનાઓ એવી બને છે કે તેના ઉપરથી આપણી જુની અને જાણીતી કહેવતો યાદ આવ્યા વિના રહેતી નથી ! જુઓ નમૂના…
***
(ઘટના)
બિપરજોય વાવાઝોડું ગુજરાત ઉપર નવ દિવસ સુધી તોળાતું રહ્યું પણ છેવટે રાજસ્થાનમાં વળી ગયું.
(કહેવત)
‘જા બિલાડી મોભામોભ!’
***
(ઘટના)
ICC ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમ શરમજનક રીતે હારી ગઈ.
(કહેવત)
‘દશેરાના દિવસે જ ઘોડું ના દોડ્યું !’
***
(ઘટના)
મનોજ મુંતજિર કહે છે કે ‘આદિપુરુષ’ ફિલ્મના વાંધાજનક સંવાદો બદલી નાંખવામાં આવશે.
(કહેવત)
‘બુંદ સે ગઈ વો હોજ સે નહીં આતી !’
***
(ઘટના)
‘આદિપુરુષ’ ફિલ્મ રીલીઝ થયા બાદ હજારોની સંખ્યામાં લોકો ટીકાઓની ઝડી વરસાવી રહ્યા છે.
(કહેવત)
‘નબળી ગાય ઉપર બગાઈઓ ઝાઝી !’
***
(ઘટના)
મણિપુરમાં બે આદિવાસી જાતિઓના કંકાસમાં ફાટી નીકળેલી હિંસામાં ભાજપના નેતાનું મકાન સળગાવી દેવામાં આવ્યું.
(કહેવત)
‘બે પાડા લડે એમાં ઝાડનો ખો !’
***
(ઘટના)
વ્યારા જિલ્લામાં પુલ તુટ્યો તો કર્મચારીઓ સસ્પેન્ડ પણ કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલા નહીં !
(કહેવત)
‘જમવામાં જગલો અને કૂટવામાં ભગલો !’
***
(ઘટના)
અમેરિકામાં મોદીજીના ભવ્ય સ્વાગતથી ભક્તો ભારે હરખમાં.
(કહેવત)
‘મારે મીર અને ફૂલાય પિંજારા !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment