એક જમાનો હતો જ્યારે ‘ચાય પે ચર્ચા’ થતી હતી… એ પણ શાંતિથી ! હવે એવું છે કે ખબરોની ખણખોદ થવા માંડી છે, એ પણ ગરમા-ગરમીથી ! જુઓ…
***
ખબર
અમદાવાદમાં હાટકેશ્વરનો ફ્લાયઓવર બ્રિજ તોડી પાડવામાં આવશે.
ખણખોદ
જેટલા કરોડનો બ્રિજ બન્યો હતો તેટલા કરોડ રૂપિયા અમદાવાદના કરદાતાઓને રિફંડમાં મળવા જોઈએ ! શું કહો છો ?
***
ખબર
લોકપાલની 67 ટકા ફરિયાદો અંગ્રેજીમાં નહોતી એટલે રદ થઈ.
ખણખોદ
હદ થાય છે ! મતલબ કે જે ભ્રષ્ટ નેતાઓ અભણ, ઓછું ભણેલા અને અંગ્રેજીનો ‘અ’ જાણનારા નથી એમની સામે ફરિયાદ કરવી હોય તો તમારે ગ્રેજ્યુએટ થવું પડે ?
***
ખબર
અંતરીક્ષમાં ઉગાડેલાં 2000 કિલો ટામેટા ધરતી ઉપર લાવવામાં આવશે !
ખણખોદ
બહું સારું ! પણ હિમાચલ તથા પંજાબમાં જે 2 લાખ કિલો ટામેટાંનો પાક ઓલરેડી ધરતી ઉપર ઉગ્યો છે એના સરખા ભાવ અપાવવાની કોઈ સાદી ટેકનોલોજીની શોધ કરોને ?
***
ખબર
કેજરીવાલ કહે છે કે ‘જો હું ભ્રષ્ટાચારી હોઉં તો દુનિયામાં કોઈ ઈમાનદાર નથી.’
ખણખોદ
આ તો ટેન્શન થઈ ગયું ! કાલે ઊઠીને જો કેજરીવાલ ભ્રષ્ટાચારી સાબિત થયા, તો દેશના 100 કરોડ મામુલી લોકોએ પોતાની ઇમાનદારી શી રીતે સાબિત કરવાની ?
***
ખબર
જોન અબ્રાહમે જાહેર કર્યું છે કે હવે તે ફિલ્મોમાં કોમેડી નહીં કરે.
ખણખોદ
એ ભાઈ બહુ મોટા ભ્રમમાં લાગે છે ! એને કોણે કહ્યું કે એ જે કંઈ કરતો હતો એ કોમેડી હતી !
***
ખબર
ગેંગસ્ટર અતિક એહમદ અને તેના ભાઈની હત્યા કરનારાઓ મિડીયાકર્મી બનીને આવ્યા હતા.
ખણખોદ
તમે જોજો, આ બહાને હવે મિડીયાને VIP નેતા તથા VIP ગુંડાઓથી મિનિમમ 50 મીટર દૂર ઊભા રહીને જ સવાલો પૂછવા પડશે ! વાણી સ્વાતંત્ર્ય છે સાહેબો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment