અમુક લોકોને પોતાની કોલર ટ્યુનોમાં કયું ગાયન રાખવું તેની અક્કલ નથી હોતી. દાખલા તરીકે એક બિચારા સીધા સાદા સજ્જન છે છતાં એમને ફોન કરો તો ગાયન સંભળાય :
‘મુજ કો યારો માફ કરના, મૈં નશે મેં હું…’
આ જ રીતે અમુક લોકોએ અમુક કોલર-ટ્યુનો હરગિઝ ના રાખવી જોઈએ. જેમકે…
***
કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે કોલર ટ્યૂન રાખી હોય કે :
‘મૈં હું ડોન… મૈં હું ડોન..’
- તો કેવું લાગે ?
***
તમે કોઈ આઈ-સ્પેશીયાલિસ્ટને ફોન કરો અને એમાં સંભળાય કે
‘તેરી આંખો કે સિવા દુનિયા મેં રખ્ખા ક્યા હૈ ?’
- તો આપણે શું સમજવાનું ?
***
અને કોઈ હાર્ટ-સ્પેશિયાલિસ્ટને ફોન કરતાં સાંભળવા મળે કે –
‘દિલ દે કે દેખો, દિલ દે કે દેખો, દિલ દે કે દેખો જી…’
- તો આપણા ધબકારા વધી જ જાય ને !
***
અચ્છા, તમે કુંવારા હો, જીવનસાથી માટે યોગ્ય પાત્ર શોધતા હો અને કોઈ મેરેજ બ્યુરોના માલિકને ફોન કરતાં જ સામેથી સંભળાય કે –
‘મુઝે મેરી બીવી સે બચાઓ ! અકડતી હૈ હંમેશા મુજ સે લડતી હૈ…’
- તો તમે માંડી જ વાળોને ? પરણવાનું…
***
તમે તમારો જીવનવીમો ઉતરાવી લીધો હોય, પછી એકાદ વાર તમારા વીમા એજન્ટને કોઈ કામસર ફોન કરો, અને સાંભળવા મળે…
‘તેરી યાદ આયેગી… તેરે જાને કે બાદ…’
- તો શું સમજવાનું ?
***
હમણાં તો કોરોનાનો વાવર નથી, છતાં તમે કોઈ મલ્ટિ સ્પેશીયાલિટી હોસ્પિટલમાં રીંગ કરો અને સામેથી સાંભળવા મળે કે –
‘જીના યહાં, મરના યહાં, ઇસ કે સિવા જાના કહાં…’
- તો સાતે સાત જનમ યાદ આવી જાય કે નહીં ?
***
બાકી, જો તમે કોઈ મિનિસ્ટરને ફોન કરો અને સાંભળવા મળે કે…
‘ના બીવી ના બચ્ચા, ના બાપ બડા ના મૈયા, ધ હોલ થિંગ ઇઝ ધેટ કે ભૈયા સબ સે બડા રૂપૈયા..’
- તો બિલકુલ નવાઈ ના લાગે ને ? બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment