બરોબર સામી ઉતરાણે કોરોનાએ આપણા આનંદમાં લંગશિયાં નાંખ્યાં છે ! મકરસંક્રાંતિમાં અને લગ્નોમાં કોરોના વડે સરકારે ટાંગ અડાડી છે…
***
સરકાર કહે છે કે ઉત્તરાયણના દિવસે ધાબા ઉપર સ્પીકરો વગાડવા ઉપર પ્રતિબંધ છે…
- ભઈ કમાલ છે ? થાળી વગાડવાથી કોરોના જતો રહે ! અને મ્યુઝિક વગાડવાથી શું દોડતો પાછો આવે ?
***
અચ્છા, વાસી ઉત્તરાયણને દહાડે સ્પીકરોમાં જુનાં અને વાસી ગાયનો વગાડીએ તો ચાલે ? દાખલા તરીકે જુના સાયગલનાં, અને વાસી નદીમ-શ્રવણનાં !
***
અને બીજું, સ્પીકરોમાં જો મોદી સાહેબનું ભાષણ વગાડીએ તો ના ચાલે ? કોરોના એમના અવાજથી તો ડરે જ ને !
***
લગ્નોમાં પણ કોરોનાનાં લંગશિયાં નડવાનાં ! 400ની લિમિટ ગણીને જે કંકોત્રીઓ મોકલેલી એમને હવે શું કહેવાનું ? ‘કંકોત્રી પાછી મોકલી આપજો, કુરિયરના પૈસા અમે આપી દઈશું’ એમ ?
***
અને હા, જેમને ફક્ત ઓનલાઇન કંકોત્રીઓ મોકલેલી, એમની પાસેથી ઓનલાઇન ચાંલ્લો તો લેવાય જ ને ?
***
ઉત્તરાયણમાં પતંગો કપાવાની અને પછી લગ્નોમાં સગાં કપાવાનાં !
***
ટીવી ન્યુઝમાં સનસનાટીભરી હેડલાઇનો આવશે : ‘ગુજરાતમાં 15 દિવસના લગ્નગાળામાં 15000 સગાવ્હાલાં કપાયાં ! કોરોનાએ મચાવ્યો કાળો કહેર… ઠેરઠેર ચાલી રોક્કળ…’
***
ઉત્તરાયણમાં પાંખો કપાયેલાં પક્ષીઓની સારવાર તો જીવદયાવાળા કરશે પણ લગ્નોમાં ઇન્વીટેશનો કપાયેલાં બોયફ્રેન્ડોની સારવાર કોણ કરશે ?
***
અને હા, લગ્ન પછી કન્યાની વિદાય કરવામાં જો રાતના 10 વાગી જાય તો પછી કરફ્યુમાં વરરજા ક્યાં જશે ? એને તો સાસરીમાં જ ‘કન્ટેઇન’ કરી રાખવો પડશે ને !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment