કાગડાઓની કાગવાસ ગાઈડ લાઈન !

લો, ‘સરાદિયાં’ શરૂ થઈ ગયાં છે. આ વખતે તો કાગવાસ ખાવા આવનારા કાગડાઓએ વધારે સાવધાની રાખવાની જરૂર છે કેમકે મોટાભાગના કેસ કોરોના અવસાનના હશે !

આ હિસાબે કાગડાઓની ‘કાગવાસ કમિટી’ના મેમ્બરોએ શું ગાઈડલાઈન બહાર પાડી હશે ?

***

કાગવાસ ખાવા જતાં પહેલાં ચાંચ સેનિટાઈઝ કરી લેવી.

***

કાગવાસ નાંખનાર માણસે મોં ઉપર માસ્ક ના પહેર્યું હોય તો ત્યાં જવું નહીં.

***

જે વિસ્તાર બીજી લહેર વખતે રેડઝોનમાં હતો તે વિસ્તારમાં કાગવાસની પતરાળીઓ વધારે હશે. એમાં મિષ્ટાન પણ વધારે હશે. પરંતુ એનાથી લલચાઈ જવું નહીં. સેનિટાઈઝર અને માસ્કની સાવચેતી હોય ત્યાં જ જવું.

***

એક જ ધાબા ઉપર 20થી વધારે કાગડાઓએ ભેગા થવું નહીં.

***

એકબીજાથી મિનિમમ છ ફૂટનું અંતર રાખવું. કાગડાઓની ભીડ હોય તો લાઈનમાં આવવું. અથવા ટોકન લઈને શાંતિથી દૂર પાળીએ બેસી વારો આવે તેની રાહ જોવી.

***

ગળામાં આસોપાલવ કે પીપળનું પાન બાંધી રાખવું. બહુ ‘કા… કા..’ કરવું હોય ત્યારે પાનને ચાંચ ઉપર ઢાંકી રાખવું. સાવધાની એ જ બચાવ.

***

જે કાગડાઓએ બીજી લહેર દરમ્યાન સ્મશાનોની આસપાસના વિસ્તારનો એંઠવાડ ખાધો હોય તેમણે બીજા કાગડાથી બાર ફૂટ દૂર બેસીને કાગવાસ ખાવાનો રહેશે.

***

અને ખાસ વાત. બીજી લહેર દરમ્યાન આપણા જે કાગડાઓ મરી ગયા છે તેમનું નામ મનમાં લીધા પછી જ કાગવાસ ખાવાનો છે.

***

કાગવાસ ખાઈ લીધા પછી જ્યાં ત્યાં ભટકવાનું નથી. ‘સ્ટે માળામાં, સ્ટે સેફ.’

***

- મન્નુ શેખચલ્લી

Comments