ત્રીજી લહેરનાં અવળચંડા ઉપાયો !

હજી કોરોનાની બીજી લહેર પતી નથી ત્યાં તો સરકાર ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારીમાં છે ! આના માટે અમારી પાસે થોડાં અવળચંડા સૂચનો છે…

***

નેતાઓને કોરોના વોરિયર્સ જાહેર કરો !

શું તમે માર્ક કર્યું છે કે રાજકીય નેતાઓમાં 0.00001 ટકા કરતાંય ઓછાં મોત કેમ નોંધાયાં છે ? કેમકે એમની જાડી ચામડીમાં કંઈક તો પાવર છે જ ! આથી સૌ નેતાઓને પોતપોતાના એરિયાની હોસ્પિટલોમાં ‘પ્રેરણામૂર્તિ’ બનીને બહાર બેસી રહેવાની ડ્યૂટી આપો !

***

વોટ્સએપ ગ્રેજ્યુએટોનું સન્માન કરો

આ મહાન યુનિવર્સિટીમાં જે જ્ઞાનીઓ પેદા થયા છે તેમના ઉપાયોને ‘થિસિસ લેખ’ માનીને તેમનું જાહેરમાં સન્માન કરો !

***

બાબા રામદેવની મદદ લો

ઇન્ટરનેશનલ યોગા દિવસ નજીકમાં જ છે. એ દિવસે બાબા રામદેવ આખા દેશના લોકોને શીખવશે કે હવામાંથી ઓક્સિજન ખેંચીને ફેફસામાં તેનો સ્ટોક શી રીતે કરી રાખવો !

***

આગોતરો સ્ટોક ભરી રાખો

ઓક્સિજન, ઇન્જેક્શનો તથા દવાઓ પછી હવે કઈ ચીજ વસ્તુઓની તંગી ઊભી થવાની છે ? તેનો આગોતરો પ્રચાર કરવા માંડો ! જેથી તંગી ઊભી થાય એ પહેલાં જ નેતાઓ તથા કાળાબજારીયાઓ તેનો સ્ટોક ભેગો કરીને સંઘરવા માંડે !

***

અન્ય સૂચનો

- પોલીસોને નવા ડંડા આપો.

- સ્મશાનોમાં વધુ લાકડા પહોંચાડો.

- ડોક્ટરોને વચમાં નાનું વેકેશન આપો.

- ન્યુઝ ચેનલોમાં નવા નવા હાહાકાર ફેલાવવાની મોટી મોટી હરિફાઈઓ રાખો.

- અને ધર્મસ્થાનો ખોલી નાંખો ! છેલ્લે તો પ્રાર્થના જ કામમાં આવશે ભ'ઈ ...

***

- મન્નુ શેખચલ્લી

Comments