ત્રણેક દિવસ પહેલાં ન્યુઝ હતા કે અવકાશમાં એક ઉપગ્રહ પાણીમાંથી બળતણ પેદા કરે છે ! જો આ પ્રયોગ આગળ ચાલ્યો તો ધરતી ઉપર પણ પેટ્રોલને બદલે પાણી વડે વાહનો ચાલવા માંડશે !
પછી વિચારો, શું શું થશે !...
***
સૌથી પહેલાં તો લોકો ઘરમાં કાર કરતાં ડબલ સાઇઝની પાણીની ટાંકીઓ જ બનાવવા માંડશે !
***
પાણીના ભાવ પણ વધવા માંડશે ! સરવાળે લોકોના ‘પૈસાનું પાણી’ થવા માંડશે…
***
જ્યાં જુઓ ત્યાં એવા સમાચારો સાંભળવા મળશે કે ભરઉનાળે પાણીનાં ટેન્કરો લૂંટાયા !
***
લોકો ઘેર ઘેર બોર-વેલ ખોદાવવા માંડશે. એ તો ઠીક, નર્મદા કેનાલમાં કૂદીને કોઈ આપઘાત કરી જ નહીં શકે કેમકે ત્યાં આસપાસ ચોરો ફરતા હશે ! અને ચોરોને પકડવા પોલીસો ફરતા હશે…
***
અરે, નર્મદા ડેમ (સરદાર સરોવર)ની આજુબાજુ તો જબરદસ્ત સિક્યોરીટી ગોઠવાયેલી હશે ! વલ્લભભાઈના સ્ટેચ્યુની આંખોમાં જ સર્વેલન્સ કેમેરા ગોઠવાયેલા હશે…
***
અને હા, વરસાદ પડશે ત્યારે શહેરોમાં પાણી ઉભરાશે જ નહીં કેમકે લોકો જ ‘પાણી પહેલાં પાળ’ બાંધી બાંધીને મોટર વડે પાણી ઘરમાં ખેંચી લેતા હશે !
***
જે રીતે ઇન્કમટેક્સના દરોડા પડે છે એ રીતે ધનવાન લોકોના ફાર્મ હાઉસોમાં પાણીના દરોડા પડતા હશે !
***
પાણીના ભાવ પચીસ ગણા વધી જશે ! પાણીની બોટલ ૨૦ રૂપિયાને બદલે ૨૦૦ રૂપિયામાં મળતી હશે !
… ના ના, સોરી, તો તો પેટ્રોલ જ સસ્તું લાગશે ને ?
***
જોકે ખેડૂતો પોતાના ખેતરોમાં પાણી ઓછું પાશે ! જેના લીધે પાક ઓછો પાકશે, જેના કારણે ખેડૂતોની આવક ઘટી જશે… છેવટે ખેડૂતો ફરીથી આંદોલન કરશે !
જોયું ? હતા ત્યાં ને ત્યાં…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment