આંદોલનકારી v/s આંદોલનજીવી...

મોદી સાહેબે કીધું છે કે આપણે આંદોલનકારી અને આંદોલનજીવી વચ્ચેનો ફરક સમજી લેવાની જરૂર છે. જોકે અમને તો એટલું જ સમજાય છે કે…

***

આંદોલનકારી પોતાનું ટ્રેક્ટર લઈને નીકળી પડે ત્યારે આંદોલનજીવી એમાં મફતમાં મુસાફરી કરવા માટે બેસી જાય છે.

***

આંદોલનકારીઓ જોશમાં આવીને સુત્રો પોકારે છે ત્યારે આંદોલનજીવીઓ એમાં નવાં નવાં સૂત્રોનાં ગતકડાં બનાવીને જુસ્સો ટકાવી રાખે છે.

***

આંદોલનકારીઓ થાકી થાકીને બેસી જાય ત્યારે આંદોલનજીવીઓ ત્યાં ભાંગડા અને ગરબા કરવા માટે પહોંચી જાય છે.

***

આંદોલનકારીઓ પોતાના આગેવાનો માટે મંચ બનાવે છે ત્યાં આંદોલનજીવીઓ ભાષણો કરવા માટે સમયસર પહોચી જાય છે.

***

આંદોલનકારીઓ માટે ચા-નાસ્તા ભોજનની વ્યવસ્થા ગોઠવી હોય ત્યાં ‘હવે બે મહિના લગી ભીખ નહીં માગવી પડે’ એવું વિચારીને આંદોલનજીવીઓ (ભિખારીઓ) પંગતમાં ગોઠવાઈ જાય છે.

***

આંદોલનકારીઓ પોતાનું આંદોલન ચલાવવા માટે જે ખર્ચ થતો હોય તેના માટે ફાળો ઉઘરાવે છે જ્યારે આંદોલનજીવીઓ એ ફાળાના પૈસાનો ‘વહીવટ’ કરવા માટે ઉત્સાહી ‘મેનેજરો’ બની જાય છે.

***

આંદોલનકારીઓને ભીડ ભેગી કરવા માટે માથાદીઠ 200-500 રૂપિયા આપવા પડતા હોય છે. અહીં પેલા આંદોલનજીવીઓ ભીડ ભેગી કરી આપવાના ‘કોન્ટ્રાક્ટર’ બની જાય છે.

***

આંદોલનકારીઓ ભલે ને મહિનાઓ, વરસો લગી શાંત આંદોલન કર્યા કરે ત્યાં સુધી એમને ‘પવિત્ર’ માનવામાં આવે છે ! પણ જેવા એ લોકો તોફાને ચડે અને ટીવીમાં ‘જીવંત’ પ્રસારણ બની જાય ત્યારે એમને આંદોલન ‘જીવી’ કહેવામાં આવે છે ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments