વિષ્વના સૌથી ઊંચા એવા સરદાર વલ્લભભાઈના પૂતળા વિશે કોમેન્ટ્સ, ટીકા, વખાણ અને જોક્સ વાંચી લીધા હોય તો જરા મામૂલી પૂતળાં વિશે વિચાર કરીશું ?
ચાર રસ્તે, મેદાનમાં કે ફ્લાય ઓવરની નીચે ઊભેલાં આ પૂતળાંઓનું એક અનોખું ફિલોસોફીકલ ચિંતન છે. જરા ધ્યાન આપો...
***
મરેલા લોકોનાં પથ્થરનાં પૂતળાં બને છે, જીવતા લોકોનાં મીણનાં પૂતળાં બને છે.
***
રાતના અંધારામાં મેં નાના ચોરોને સંતાતા જોયા છે, દિવસના અજવાળામાં મેં મોટા ચોરોને સન્માન મેળવતા જોયા છે.
***
પૂતળું હોવાના બે ગેરફાયદા છે.
એક, વરસે એકવાર હલકટમાં હલકટ લોકો તમને હાર ચડાવી જાય છે.
બે, બાકીના દિવસોમાં નિર્દોષ પક્ષીઓ તમારી ઉપર શૌચ કરી જાય છે.
***
હું આખી જિંદગી ‘નકારાત્મક સોચ’ સામે ઝઝુમ્યો હતો. હવે હું ‘હગારાત્મક શૌચ’ સામે ઝઝુમી રહ્યો છું.
***
પૂતળાંના પગ પલાળી જતાં કૂતરાંઓ સામે પૂતળાંની લાકડી પણ રક્ષણ આપી શકતી નથી.
***
‘બસ્ટ’ (હાથ વિનાનું પૂતળું)ની કમનીસીબી એ હોય છે કે પોતાને હાર પહેરાવનારને લાફો મારવાની ‘કલ્પના’ પણ કરી શકતું નથી.
***
ઓટલા ઉપર કે લોનમાં બેસાડી રાખેલું પૂતળું સુવિચારોની નહિ, પણ ‘સેલ્ફી’ની પ્રેરણા આપવા માટે જ હોય છે.
***
બાકી, પૂતળાની ઊંચાઈ બાબતે શું કહું ? પૂતળું પણ ‘મુઠ્ઠી ઊંચેરું’ હોય એ પુરતું છે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment