અમુક સમાચાર જ એવા હોય છે કે તેની ઉપર કંઈ નુક્તેચીની યાને કે ટિપ્પણી અર્થાત કોમેન્ટ કર્યા વિના રહેવાતું જ નથી….
***
ન્યુઝ
અક્ષયકુમારની નવી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ના ટ્રેલર ઉપર તમે ‘લાઇક’ કે ‘ડિસ્લાઈક’ કરી શકતા નથી.
નુક્તેચીની
અરેરે, આમાં તો ડિસ્લાઈનક કરવા માટે જે લાખો ‘વ્યુઝ’ મળવાના હતા, એ તો ગયા ને !
***
ન્યુઝ
રિયા ચક્રવર્તીને જામીન મળી ગયા. હવે તે ઘરે પહોંચી ગઈ.
નુક્તેચીની
હા, પણ તેણે ઘરમાં જઈને શું ખાધું ? શું પીધું ? ક્યાં સુતી ? ક્યારે ઊઠી ? એવું બધું કેમ નથી બતાડતા ?
***
ન્યુઝ
અમુક ન્યુઝ ચેનલોએ પોતાના TRP વધારવા માટે લાંચ આપી હોવાનો આરોપ.
નુક્તેચીની
સીધી વાત છે, રિયા ચક્રવર્તી વિશેના ન્યુઝ પતી ગયા પછી તો આ જ થવાનું હતું !
***
ન્યુઝ
સરકારે ન્યુઝ ચેનલો માટેની એડવાઈઝરીમાં ક્હયું કે અર્ધસત્યનું પ્રસારણ ના કરો.
નુક્તેચીની
ખેડૂત-બિલ બાબતે સરકાર અને વિરોધપક્ષોને પણ કોઈએ આવી એડવાઈઝ આપવી જોઈએ.
***
ન્યુઝ
હવે પાકિસ્તાને ‘ટિક-ટોક’ ઉપર પ્રતિબંધ મુક્યો. આરોપ અશ્ર્લીલતા ફેલાવવાનો મુક્યો.
નુક્તેચીની
ઇમરાનભાઈ, કોઈ ફેર પડવાનો નથી ! અહીં અમારા ઇન્ડિયામાં પણ એવા પ્રતિબંધ પછી બળાત્કારો તો ચાલુ જ છે !
***
ન્યુઝ
નવરાત્રિમાં આ વરસે માત્ર 200 લોકો ભેગા થઈને આરતી ઉતારી શકશે.
નુક્તેચીની
હા, પણ ચૂંટણી પ્રચાર માટે નેતાઓ ધારે એટલા લોકો ભેગા કરીને પોતાની આરતી ગવડાવી શકશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment