વાત અને વઘાર !


આજકાલ અમુક વાતો એવી મજેદાર આવે છે કે એમાં થોડો વઘાર કરીએ તો ઓર મજેદાર બની જાય ! જુઓ…

***

વાત

એક વાત એવી આવી કે અમિતાભ બચ્ચનના પલંગ નીચે કોઈ ટીવી રિપોર્ટર સૂતો છે અને રજેરજની ખબર પહોંચાડે છે…

વઘાર

આ સાંભળીને હવે અભિષેક બચ્ચનના પેટમાં તેલ રેડાયું છે કે “ઐશ્વર્યના પલંગ નીચે કોણ હશે ?”

***

વાત

એક વાત એવી આવી કે અમિતાભ બચ્ચને પોતાની તબિયત વિશે માહિતી મેળવવા ન્યુઝ ચેનલ જોઈ…

વઘાર

આ સાંભળીને લગભગ તમામ ચેનલોના અધિકારીએ પોતાના સ્ટાફને તતડાવી નાંખ્યો કે “બચ્ચન સાહેબે કઈ ન્યુઝ ચેનલ જોઈ ? અને જોઈ હોય તો એ બ્રેકિંગ ન્યુઝ આપણી ચેનલમાં કેમ નથી ?”

***

વાત

બીજી એક વાત એવી આવી કે અમિતાભ, અભિષેક, ઐશ્વર્યા, આરાધ્યા… એમ સૌને કોરોનાનો ચેપ લાગ્યો છતાં જ્યા બચ્ચનને નથી લાગ્યો એ વાત ઉપર રેખાએ કહ્યું કે “જયાજી તો પહેલેથી જ નેગેટિવ છે…”

વઘાર

રેખા બહેન, એવું નથી ! હકીકત એ છે કે જયાજીને હજી ભરોસો નથી કે તમે ‘સીલ’ થયેલા બંગલામાં પણ શાંતિથી બેસી રહેશો… એટલે પોતે ચોકી કરવા માટે ‘બહાર’ રહ્યાં છે !

***

વાત

ગઈકાલે હજારો લોકોએ એક સરખો મેસેજ ફોરવર્ડ કર્યો હતો કે મેં સવારે નાસ્તામાં ફલાણું ખાધું અને જમવામાં ફલાણું લીધું…

વઘાર

લોકો પણ કેવા આળસુ થઈ ગયા છે ! પોતે શું ખાધું તે લખવાને બદલે બીજાનો  ‘એંઠવાડ’ ફોરવર્ડ કરે છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments