બિચારા કવિઓ ઘણા કષ્ટમાં છે ! પથ્થરથી લઈને પતંગિયાની પાંખ સુધીની કલ્પના કરી શકનારા કવિઓ આ કોરોનાની નજરકેદમાં બંધ થઈ ગયા છે !
અમારા ‘કવિ કષ્ટમ્’નું પણ એવું જ છે ! એમણે કરેલી કવિતામાં ગુજરાતના તમામ કવિઓની વ્યથા છે...
***
પત્નીની કેદમાંથી
છૂટી શક્યા નથી
બારણાં ખુલ્લાં, છતાં
નીકળી શક્યા નથી.
***
કવિનું કષ્ટ સ્વયં કવિ
કહી શક્યા નથી
કોરોના કેરો કરફયુ
સહી શક્યા નથી.
***
થાળી પીટી લીધી
દિવડા ગણીને નવ
કવિ બાધા-આખડીથી
બચી શક્યા નથી.
***
અન્યાય છે જગતમાં
મદિરાને નામે સાકી
કેરળમાં રેલં-છેલ
અહીં, સુંઘી શક્યા નથી !
***
માગે જ્યાં 'એકસો-પાંત્રીસ'
(એટલે માવો)
માગે જ્યાં 'એકસો-પાંત્રીસ'
મળી 'એકસો ચુંમાળીસ'
‘સોળ’ કેવા સિતમના ?
ગણી શક્યા નથી.
***
ઘરનાં ખૂણા ગણે છે
બારીની ધૂળ વીણે છે
ઝલક પાડોશણની યે
પામી શક્યા નથી.
***
ના તાવ પ્રેરણાનો
ન શબ્દોની સૂકી ખાંસી
એબ્સર્ડીટીનાં માસ્ક
ખોલી શક્યાં નથી.
***
બાંધીને મોઢે ગળણું
સમયને ગાળવામાં
ઠંડી પડેલી ‘ચા’ પણ
ગાળી શક્યા નથી.
***
ફેસબુકમાં લાઈવ થઈને
વિડીયોમાં જઈ જઈને
પહોંચ્યા કવિ વિદેશે
લઈ લીધી કૈંક દાદ...
પણ ઘરમાં શ્રીમતીની
મેળવી શક્યા નથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment