સવારે વહેલા ઊઠીને માનવીએ શું કરવું જોઈએ તેનું એક ‘પ્રભાતિયું’ નરસિંહ મહેતાએ રચેલું છે. પરંતુ આ લોકડાઉનના કપરા સમયમાં માનવીએ રાત્રે શું કરવું જોઈએ ?
સાંભળો, આ ‘રાતિયું’…
***
રાત પડે જ્યાહરે
બેટરી ચાર્જ કરી
યુ-ટ્યુબમાં કોઈ
ફિલ્મ જોવી...
***
રાત્રે બે લગી
લૂડોની ગેમ રમી
પોર્ન વિડીયોથી
દૂર રહેવું...
***
‘પબ-જી’માં ફાઈટ કરી
ફૌજી સંહારવા
પણ, ચાદર ઓઢીને
ઘરમાં રહેવું...
***
ગર્લ-ફ્રેન્ડને ફોન કરી
ફોનને કિસ કરી
મિસ યુ, મિસ યુ
એમ કહેવું...
***
મધરાતે ઊઠીને
નિજ બેડરૂમ ત્યજી
જાતે કિચનમાં જઈ
મેગી કરવી...
***
ફ્રીજનાં બારણાં
ખોલીને ઘડી-ઘડી
વધ્યું-ઘટ્યું ખાઈને
પેટ ભરવું...
***
બચ્યું હોય ક્વાર્ટરિયું
તો કાઢીને બૂચમાં
એકલાં એકલાં
‘ચિયર્સ’ કરવું...
***
નીંદરા ન આવે તો
ફેસબુકમાં જઈ
‘જાગતા’ને શોધીને
‘ચેટ’ કરવું...
***
થાકીને સવારના
પોઢીને પથારીમાં
‘ગુડ મોર્નિંગ’નું ચિત્ર
સેન્ડ કરવું...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment