'જનતા કરફ્યુ'માં શું શું થશે ?


મોદી સાહેબે એલાન કર્યું છે કે ૨૨મી માર્ચે એટલે કે કાલે, દેશભરનાં શહેરોમાં ‘જનતા કરફ્યુ’ પાળીએ…

એ તો બરાબર, પણ કરફ્યુમાં શું નું શું થશે ? જરા વિચાર કર્યો છે ?....

***

એક તો જાણે આ કરફ્યુ 14 કલાકને બદલે 14 દિવસ માટે રહેવાનો હોય એમ લોકો શાકભાજી, દવાઓ, પેટ્રોલ, પાણી વગેરે માટે શનિવારે લાઈનો લગાડી દેશે…

***

રવિવારે જે કંઈ થોડી ઘણી દુકાનો કે વાહનો ચાલતાં દેખાશે તેને બંધ કરાવવા માટે ‘સ્વયંસેવકો’ નીકળી પડશે : “ચલોઓઓ… બંધ કરોઓઓપ !”

***

સોસાયટીઓમાં અમુક ઉત્સાહીઓ ઘેર ઘેર ફરીને બધાને ઘરમાં ધકેલવા નીકળી પડશે… “ઘરમાં બેસો ! સાંભળ્યું નહીં ? ઘરમાં બેસો !”

એમને વળી કોઈ સામી ચોપડાવશે. “પહેલાં તમે પોતે ઘરમાં બેસો ને ?”

- આમાં ને આમાં ‘કરફ્યુ ભંગ’ થતાં તોફાનો ફાટી નીકળશે…

***

ઘરમાં નવરા બેઠેલા ઉત્સાહીઓ મોબાઈલમાં ‘બ્રેકિંગ ન્યુઝ’ ફેલાવશે : “પ્રહલાદનગરમાં ફેલાયેલો કોરોના હવે વસ્ત્રાપુર તળાવ સુધી પહોંચી ગયો છે ! સંભાળજો !”

***

ગરબા ગ્રુપ ચલાવતી મહિલાઓ સાંજે પાંચ વાગે જે તાળીઓ વગાડવાની છે તેનાં રિહર્સલો ત્રણ વાગ્યાથી શરૂ કરાવી દેશે…

***

યંગસ્ટરોને જોશ ચડી આવશે : “ચલો બોસ, કરફ્યુમાં કેવો સન્નાટો છે એનો વિડીયો ઉતારવા માટે બાઈકો લઈને નીકળી પડીએ…”

- આમાં ને આમાં ‘સ્વયંસેવકો’ અને ‘ઉશ્કેરણીજનક’ વિડીયો ઉતારનારા વચ્ચે ‘સેમી-હિંસક’ ‘અથડામણો’ થશે…

- જેનો વિડીયો ઉતારવા જતાં અથડામણો ‘વધુ હિંસક’ બની જશે…

***

‘અમે તો ઘરમાં જ ક્રિકેટ રમીએ છીએ…’થી માંડીને ‘મેં તો મારા ઘરમાં જ સ્વિમિંગ પુલ બનાવ્યો છે…’ એવા વિડીયો ફરતા થઈ જશે..

***

છેવટે જ્યારે રાત્રે નવ વાગે કરફ્યુ છૂટશે કે તરત લોકો પાણીપુરી, ભેળપુરી, પાંવભાજી, પિત્ઝા અને આઈસ્ક્રીમ ખાવા માટે બજારોમાં તૂટી પડશે…

મેરા ભારત મહાન !

***

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment