ગુજરાતીઓ... કાશ્મીરમાં ?!


હવે જ્યારે કલમ 370 અને 35A ખતમ ખતમ થઈ ગઈ છે ત્યારે બીજા રાજ્યોના લોકો કાશ્મીરમાં જઈને વસી શકશે, રાઈટ ?

પણ જરા વિચારો કે ગુજરાતીઓ કાશ્મીરમાં ક્યાં ક્યાં અને કેવી રીતે એન્ટ્રી મારશે ?...

***

ઉદ્યોગો

અંબાણી, અદાણી અને ટાટા જેવી મોટી મોટી પાર્ટીઓ કાશ્મીરમાં મોટા ઉદ્યોગો શરૂ કરે એ પહેલાં ગુજરાતીઓ લઘુ-ઉદ્યોગ ચાલુ કરી દેશે...

... ખાખરા, થેપલાં, ભાખરવડી, ઝીણી સેવ, ઝાડી સેવ, તીખો ચેવડો, ફરાળી ચેવડો વગેરે નાસ્તાઓ બનાવવાનો ગૃહ-ઉદ્યોગ !

તમે કહેશો કહેશો કે આ બધુ કાશ્મીરીઓ થોડા ખાવાના હતા ? પણ ભઈ, ગુજરાતી ટુરિસ્ટો તો ડેફીનેટલી ખાવાના ને ?

***

દુકાનો

કાશ્મીરમાં શ્રીનગર જેવા શહેરમાં મોકાની જગાએ માત્ર 6 x 6 ફૂટની જગા લઈને ગુજરાતીઓ દુકાનો સ્ટાર્ટ કરી નાંખશે !

તમે પૂછશો કે 6 x 6 ફૂટમાં તે વળી શેની દુકાન થાય ? તો ભઈ, પાનનો ગલ્લો તો કરાય ને ?

ગુજરાતી ટુરિસ્ટો (અને યુપી બિહારના સૈનિકો) પાન-મસાલા, ગુટખા, માવો... એવું બધું તો ખાવાના જ ને ! સ્સોલીડ રોકડી છે બોસ...

***

એજન્સીઓ

વિવિધ ઉત્પાદનોની લે-વેચ માટેની એજન્સીઓ તો આવશે ત્યારે આવશે પણ ‘જમીનોની લે-વેચ’ માટેના ગુજરાતી દલાલી એજન્ટો સૌથી પહેલા સક્રિય થઈ જશે ! છાપાઓમાં જાહેરખબરો આવશે :

“આજે જ બુક કરાવો...  1BHK, 2BHK અને 3BHKના લક્ઝુરીયસ એપાર્ટમેન્ટો અમદાવાદ-સુરત કરતાં અડધા ભાવે !”

***

ભવ્ય ઈવેન્ટો

આમાં પણ છાપાની જાહેરખબરો જોઈ લેજો...

“દાલ સરોવરનાં પાણી ઉપર પાવન પવિત્ર કથા-સપ્તાહનું ભવ્ય આયોજન ! સાત દિવસ માટે શિકારા તથા હોડીઓમાં બેસીને કથા સાંભળવા માટે આજે જ સંપર્ક કરો...”

***

“શ્રીનગરના લાલચોકમાં નવરાત્રી રાસ-ગરબાની શાનદાર રમઝટ ! ખાણીપીણીના સ્ટોલ રાખવા માટે તથા NRI 
સ્પોન્સરશીપ માટે સંપર્ક કરો..”

***

- મન્નુ શેખચલ્લી

Comments