સંસ્કૃતમાં કહે છે કે “યુધ્ધસ્ય કથા: રમ્યા:” યાને કે લડાઈની વારતા બધાને ગમતી હોય છે. એ તો ઠીક, પણ રસ્તામાં બે જણા લડતા હોય તોય લોકોને તમાશો જોવાની મજા પડે છે !
- આ તમાશો જોનારાઓના વિવિધ પ્રકારો છે….
***
રસ્તામાં બે જણા લડતા હોય અને ત્રીજો આવીને તેમને શાંત પાડે…
- તો એ ભલો માણસ કહેવાય.
***
રસ્તામાં ત્રણ-ચાર જણા ઝગડતા હોય એમને જોવા માટે પંદર-વીસ માણસોનું ટોળું ભેગું થાય…
- તો એ નોર્મલ માણસો કહેવાય.
***
એ પંદર વીસના ટોળામાં અચાનક ઘૂસ મારીને, બધાને ધક્કે ચડાવીને, ખુબ હોહા મચાવીને અચાનક ક્યાંક જતા રહે…
- તો એ ખિસ્સાકાતરુઓ હોય !
***
પણ પંદર-વીસના ઝગડમાં કૂદી પડીને સામાસામી મારામારી ઉપર ઉતરી આવે…
- તો એ ગુન્ડાઓ કહેવાય.
***
સામસામી મારામારીમાં અચાનક પથ્થરમારો શરૂ થઈ જા, આજુબાજુની દુકાનો બંધ થઈ જાય…
- તો એને ‘સ્થાનિક નેતાગિરી’ કહેવાય.
***
માત્ર બે જણાની લડાઈમાંથી દુકાનો સળગવા માંડે, શહેરનાં બજારો બંધ થઈ જાય અને કરફ્યુ લાગી જા…
તો એને ‘કોમી નેતાગિરી’ કહેવાય.
***
અને બે જણાની લડાઈથી શરૂ થયેલી બબાલ આગળ જતાં બે જુથ, બે કોમો, બે રાજ્યો અને બે વિચારધારાઓ સુધી પહોંચી જાય…
- તો એને ‘રાષ્ટ્રિય’ નેતાગિરી કહેવાય !
***
અને, સ્વાભાવિક છે, જો બે દેશો વચ્ચે લડાઈ થવા લાગે ત્યારે બન્ને દેશોને શાંતિ રાખવાનું કહેતાં કહેતાં બન્નેને હથિયારો વેચતા જાય..
- તો એને ‘આંતરરાષ્ટ્રિય’ રાજનિતિ કહેવાય.
***
પણ બે જણા લડીને છૂટા પડી ગયા હોય, બધું ઠંડુ પડી ગયું હોય, છતાં અમુક લોકો ‘તનાવ…’ ‘તંગદિલી…’ ‘જંગ…’ ‘રણભૂમિ…’ એવા ઘાંટા પાડ્યા કરતા હોય…
- એ ન્યુઝ ચેનલના એન્કરો કહેવાય !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment