સિરિયસલી ફની સવાલો ...


અમુક પ્રશ્નો પૂછવામાં જ સિરિયસ લાગે છે ! બાકી જવાબ મળે ત્યારે આપણને ફની લાગે છે…

***

આપણને લાખોપતિ અને કરોડપતિ થવાના આશીર્વાદ આપનારા ભિખારીઓ પોતે કેમ સાવ ગરીબ હોય છે ?

કારણકે તેમની આગળ કોઈ ભીખ માગવા જતું જ નથી… તો એમને આશીર્વાદ કોણ આપે ?

***

દુનિયામાં સૌથી ખતરનાક જગા કઈ છે ?

- પથારી… કારણકે દુનિયાના 90 ટકા લોકો પથારીમાં જ મરી જતા હોય છે.

***

ડોક્ટરોને ખુદને બિમારી થઈ જાય છે એનું કારણ શું?

- અરે ભાઈ, સાધુ-બાવાઓ સેક્સ-કાંડમાં શી રીતે ફસાઈ જાય છે ?

***

જે લોકો પોતાના સ્વાસ્થ્યની કાળજી લે છે, કસરત કરે છે, પ્રાણાયામ કરે છે, પરેજી કરે છે, ઉપવાસ કરે છે, વ્યસનોથી દૂર રહે છે, સાદું જીવન જીવે છે… એ  બધા મોત વખતે ખુશ હશે ને?

- ના રે, કારણકે એ બધા કોઈ ‘કારણ વિના’ મરી જવાના છે !

***

માણસે હવામાન પાસેથી શું શીખવા જેવું છે ?

- સીધી વાત છે. હવામાન કદી કોઈ ટીકાકારોને ભાવ જ નથી આપતું !

***

શાકાહારી લોકો કહે છે કે જો ગાય, ભેંશ, હાથી, ઘોડા વગેરે પ્રાણીઓ માત્ર ઘાસ ખાઈને આટલાં મજબૂત બની શકે છે તો માણસે માંસાહાર કરવાની શી જરૂર છે ?

- અરે યાર, માણસોને છોડો, પેલા વાઘ, સિંહ, દિપડા, ચિત્તા વગેરે પ્રાણીઓ આ વાત કેમ નથી સમજતા ? એમને જઈને સમજાવો ને !

***

આખી દુનિયામાં ગ્રાહક સૌથી વધારે ક્યાં છેતરાય છે ?

- શાળા-કોલેજોમાં !
કારણકે અહીં ભણવાનું ગ્રાહકે, યાદ રાખવાનું ગ્રાહકે, મહેનત ગ્રાહકે કરવાની, પરફોર્મન્સ ગ્રાહકે બતાડવાનો અને જો તે નિષ્ફળ જાય તો ય વાંક તો ગ્રાહકનો જ !

અને હા, પૈસા પાછા મળતા નથી.
કોઈ ‘સ્પેર-પાર્ટ’ બદલી આપવામાં આવતા નથી
અને ‘ગેરંટી’ તો કોઈ વાતની નથી !

***

- મન્નુ શેખચલ્લી

Comments