કયારે શું 'ન' ગાવું?


કઈ સિચ્યુએશન ઉપર કયું ગાયન ફીટ થાય છે એ તો તમે અનેકવાર વાંચી ચૂક્યા હશો પણ આજે જરા સમજી લો, કે કઈ પરિસ્થિતિમાં કયું ગાયન ‘ના ગવાય…’

***

દાખલા તરીકે તમે જ્યાં રહેતા હો એ એપાર્ટમેન્ટમાં બપોરના સમયે તમે લિફ્ટમાં એકલા છો..  લિફ્ટ નીચે જઈ રહી છે, ત્યાં સાતમે માળેથી એક મરચાં જેવા સ્વભાવનાં આન્ટી અંદર દાખલ થાય છે….

તમે બન્ને એકબીજાને મુંગામુંગા જોતા ઊભા છો… અહીં ભૂલથી યે એવું ગાયન ના ગણગણતા કે :

એક મૈં ઔર એક તૂ

દોનોં મિલે ઈસ તરહા

ઔર જો તન મન મેં

હો રહા હૈ…

યે તો હોના હી થા !

***

તમે હાઈવેની કોઈ રેસ્ટોરન્ટમાં બેઠા છો. ત્યાં ઉપર આવેલી ‘હોટલ’માંથી તમારો બોસ એની સેક્રેટરી સાથે નીચે ઉતરતો દેખાય છે.

તમને જોઈને એ ચોંકી જાય છે ! તમને સાઈડમાં બોલાવીને કહે છે “ખબરદાર, આના વિશે કંઈ બોલ્યો છે તો… તારી વાટ લગાડી દઈશ !”

એ પછી… બીજા દિવસે… તમે ઓફિસમાં ભૂલેચૂકે પણ ના ગાતા કે :

“મૈં ના ભૂલુંગા…

મૈં ના ભૂલુંગા…

ઇન રસમોં કો ઈન કસમોં કો

ઈન રિશ્તે નાતોં કો !”

***

તમે કોઈ મલ્ટીપ્લેક્સમાં ગયા છો. પેશાબ કરવા માટે તમે ત્યાંના ચકાચક ટોઈલેટ એરિયામાં જાઓ છો. અહીં સન્નાટો છે… માત્ર એક સજ્જન ઊભા ઊભા એમનું કામ પતાવી રહ્યા છે…

હવે એમની બાજુમાં જઈને એમ ના ગાતા કે :

“યે સાજિશ હૈ બુંદોં કી

કોઈ ખ્વાહિશ હૈ ચૂપ ચૂપ સી !”

***

તમે તમારી પત્ની સાથે કોઈ મોલમાં શોપિંગ માટે ગયા છો. પત્ની ક્યાંક બીજે ફરી રહી છે અને તમે એકલા ઊભા છો.

એવામાં તમને તમારી કોલેજમાં ભણતી જુની ફ્રેન્ડ મળી જાય છે. તમે ફોન નંબરોની આપ-લે કરો છો… છૂટા પડો છો… ત્યાં પત્ની આવીને પૂછે છે, ક્યાં હતા ?

- ત્યારે એવું હરગિઝ ના ગણગણતા કે :

“યૂં હી કોઈ મિલ ગયા થા,

સરે રાહ ચલતે ચલતે… ! ”

- મન્નુ શેખચલ્લી

Comments