ગુજરાતની ગરમીમાં ભલભલાનાં દિમાગ પાકી ગયાં છે ત્યાં વન-લાઈનર્સ પણ ‘પકાઉ’ જ નીકળે ને…
***
ઉનાળામાં ચંદ્રમુખીની વેલ્યુ કેમ ઘટી જાય છે ?
- કારણ કે ‘પારો’ બહુ ઊંચે હોય છે !
***
એસી બનાવનારા ક્યારથી ભાગલાવાદી બની ગયા ?
- જ્યારથી એમણે ‘સ્પ્લીટ’ એસી બનાવવા માંડ્યાં !
***
ઉનાળામાં બરફગોળા બહુ ઈમોશનલ કેમ બની જતા હોય છે ?
- કારણ કે બિચારા બહુ જલ્દી પીગળી જાય છે.
***
ઉનાળામાં જ્યાં જુઓ ત્યાં ‘કરોડપતિ’ની સિઝન ચાલતી હોય એવું કેમ લાગે છે ?
- કારણ કે ટુ-વ્હીલરની દરેક સીટ ‘હોટ-સીટ’ બની જાય છે !
***
ફ્રીજની બહાર રહી ગયેલી ચોકલેટો કેમ સેક્સી કહેવાય છે ?
- કારણ કે તે ‘હોટ-ચોકલેટ’ બની જાય છે !
***
વેકેશનમાં પિયરમાં બેઠાં બેઠાં પતિ ઉપર સતત પ્રેશર રાખવાની ટેકનિકને શું કહે છે ?
- પિયર પ્રેશર !
***
પત્નીઓ પતિ ઉપર આ જાતનું પ્રેશર રાખવાનું ક્યાંથી શીખી લાવે છે ?
- અમદાવાદની ‘માઈકા’ ઇન્સ્ટીટ્યૂટમાંથી !
***
હવામાન ખાતું અને મોબાઈલ એ બેમાંથી વધારે ક્વોલીફાઈડ કોણ છે ?
- મોબાઈલ. કારણ કે તે હંમેશાં વધારે ડીગ્રીઓ બતાડે છે.
***
કાશ્મીરમાં દાલ સરોવરનું નામ ક્યારે બદલાઈ જાય છે ?
- જ્યારે તડકો પડે છે ત્યારે ! તે વખતે એ ‘દાલ-તડકા’ બની જાય છે.
***
અમદાવાદની છોકરીઓ ઉનાળામાં પોતાની ‘પહેચાન’ કેમ ગુમાવી બેસે છે ?
- કારણ કે બધી પોતાના ચહેરા પર દુપટ્ટો બાંધીને નીકળે છે !
***
અને રાજકોટની ભવ્ય પરંપરાને સૌથી વધુ નુકસાન કયા લોકો પહોંચાડી રહ્યા છે ?
- બપોરે 1 થી 4 દરમ્યાન ‘કામ’ કરનારા લોકો !
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment